લંડન, 9 મે : ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ ટેલિવિઝન ચેનલ ટાઉમ્સ નાઉને આપેલી મુલાકાતમાં પાકિસ્તાન સંદર્ભમાં પોતાની ભાવિ નીતિ અંગે પણ વાત કરી હતી.
આ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન સાથેની વાતચીતને આપ કેવી રીતે આગળ લઇ જશો ત્યારે જવાબમાં તેમણે એમ જણાવ્યું કે 'બોમ્બ, બંદૂક અને પિસ્તોલના અવાજમાં કોઇ અવાજ સંભળાતો નથી.'
નરેન્દ્ર મોદીના આ શબ્દોનો અર્થ હતો કે જ્યાં સુધી પાકિસ્તાન સંઘર્ષ વિરામનું પાલન નહીં કરે ત્યાં સુધી તેની સાથે વાતચીતમાં આગળ વધી શકાશે નહીં. તેમણે એમ જણાવ્યું કે 'વાટાઘાટો ચાલુ રાખવા માટે સંઘર્ષ વિરામ જરૂરી છે. આપણે આશા રાખીશું કે આપણા પાડોશી વિવિધ મુદ્દા અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપે.'
શુક્રવારે રાત્રે આ ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ થયા બાદ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ આપેલા જવાબના સંદર્ભમાં પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને જણાવ્યું છે કે જો પાકિસ્તાનને સંઘર્ષ વિરામની સલાહ આપવામાં આવી રહી છે તો ભારતે પણ આ વાતને સમજીને તેનો અમલ કરવાની જરૂર છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ શરીફ) તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર ભારત જ નહીં પાકિસ્તાન પણ આતંકવાદનો સામનો કરી રહ્યો છે. એ જ સારું રહેશે કે ભારત પણ સરહદ પરના આતંકવાદને ખતમ કરવા માટે પ્રયાસો કરે અને કડકાઇથી કામ લે.
પાકિસ્તાન મુસ્લીમ લીગ (એન)નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કહ્યું છે કે અમને આશા છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અમારી આંતરિક બાબતોમાં દખલ નહીં કરે.