નરેન્દ્ર મોદી સાડા નવ વર્ષે મેડિસન સ્ક્વેરની ખુરશી પર બેસશે
અમદાવાદ, ન્યુજર્સી, 26 સપ્ટેમ્બર : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવનાર છે. આ સન્માન સમારોહ મેડિસન સ્ક્વેર ખાતે જ કેમ યોજવામાં આવી રહ્યો છે? આ પાછળનું એક ખાસ કારણ છે.
આ બાબત અંગે નરેન્દ્ર મોદીના સન્માન સમારોહના આયોજકો પૈકી એક એસોસિએશન ઓફ ઇન્ડિયન ઓફ નોર્થ અમેરિકા (આઇના)ના સુનીલ નાયકે જણાવ્યું કે આજથી લગભગ સાડા નવ વર્ષ પહેલા 20 માર્ચ, 2005માં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે જ નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવનાર હતું.
તે સમયે નરેન્દ્ર મોદી મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે પહોંચી શક્યા ન હતા. કારણ કે અમેરિકાની સરકારે તેમને વિઝા આપ્યા ન હતા અને તેમને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. મોદીની ગેરહાજરીમાં કાર્યક્રમ તો યોજાયો જ હતો. આ સાથે નરેન્દ્ર મોદીની હાજરીનો અહેસાસ ઉભો કરવા માટે કાર્યક્રમના સ્ટેજની મધ્યમાં એક મોટી ખુરશી મુકવામાં આવી હતી. હવે આ ખુરશી પર નવ વર્ષ. છ મહિના, આઠ દિવસ બાદ મોદી 28 સપ્ટેમ્બર, 2014ના રોજ તેના પર બેસશે.
સુનીલ નાયકના કહેવા અનુસાર આ વખતે નરેન્દ્ર મોદીનું સન્માન કરવા માટે 50,000થી 70,000 લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળી જગ્યાની શોધ ચલાવવામાં આવી રહી હતી. પરંતુ આવી કોઇ અન્ય જગ્યા મળી નહીં. છેવટે મેડિસર સ્કવેર ગાર્ડન પર પસંદગી ઉતારવામાં આવી.
આ અનોખો સંજોગ છે કે વર્ષ 2005માં જે જગ્યાએ મોદીને આવવા દેવામાં આવ્યા ન હતા, ત્યાં આજે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે સન્માનપૂર્વક પહોંચવાના છે. આ વખતે ભાજપના કાર્યકરો પણ દબાણ હતું કે કાર્યક્રમ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે જ યોજવામાં આવે.