જિંદલની ફરિયાદના આધારે Zee ગ્રુપના બે પત્રકારની ધરપકડ
નવી દિલ્હી, 28 નવેમ્બર: ફરી એકવાર મીડિયા અને સરકાર આમને-સામને આવી ગઇ છે. મંગળવારે મોડી રાત્રે ભારતના પ્રતિષ્ઠિત ઝી ન્યુઝ અને ઝી બિઝનેસના વરિષ્ઠ એડિટરને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે. ઝી ન્યુઝના એડિટર સુધીર ચૌધરી અને ઝી બિઝનેસના હેડ સમીર આહલૂવાલિયા. આ બંને પર કોંગ્રેસ સાંસદ નવીન જિંદલ પાસે બળજબરીપૂર્વક વસૂલી અને તેમના વિરૂદ્ધ સમાચાર રજૂ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંને પત્રકારોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
નવીન જિંદલના જણાવ્યા મુજબ કોલસા ફાળવણી ગોટાળામાં બળજબરીપૂર્વક તેમનું નામ ખેંચવામાં આવ્યું છે. જ્યારે તેમને વાતનો વિરોધ કર્યો તો બંને એડિટરોએ તેમની પાસે 100 કરોડ રૂપિયાની માંગણી કરી, નવીન જિંદલે પૈસા આપવાની ના પાડી તો તે નવીન જિંદલ વિરૂદ્ધ સમાચાર બતાવવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 25 ઑક્ટોબર 2012ના કોલસા ફાળવણીમાં નામ ઉછળતાં કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદલે એક સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી ખળભળાટ મચાવી દિધો હતો. નવીન જિંદલે પત્રકાર પરિષદમાં એક સ્ટિંગ ઓપરેશન બતાવ્યું હતું. નવીન જિંદલે કહ્યું હતું કે કોલસા ફાળવણી કેસમાં ઝી ન્યુઝ તેમના વિરૂદ્ધ ખોટા સમાચાર બતાવી રહ્યા છે. જ્યારે આ અંગે ન્યૂઝ ચેનલ સાથે વાત કરી તો તેમને 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ આ રકમમાં વધારો કરીને 100 કરોડ કરી દિધી હતી.
નવીન જિંદલે ઝી ન્યુઝના એડિયર સુધીર ચૌધરી અને ઝી બિઝનેસના એડિટર સમીર આહલૂવાલિયા પર આરોપ લગાવતાં કહ્યું હતું કે 13,17, અને 19 સપ્ટેમ્બરના રોજ કંપનીના લોકો સાથે મિટીંગ થઇ હતી જેમાં તેમને કરોડ રૂપિયાની માંગણી કરી હતી. નવીન જિંદલે પૂરાવા તરીકે પત્રકાર પરિષદમાં એડિટરો સાથે થયેલી વાતચીતની ટેપ રજૂ કરી હતી. આ ટેપમાં નવીન જિંદલ અને એડિટરો સાથે થયેલી વાતચીત સ્પષ્ટ જોવા મળે છે. આ અંગે ચેનલનું કહેવું છે કે ચેનલને બદનામ કરવાનું કાવતરું છે.
ઝી ન્યુઝનું કહેવું છે કે નવિન જિંદલ ચેનલને ખરીદવા અને સમાચારને રોકવાના પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યાં હોવાથી તેમને કાવતરું ઘડ્યું છે, જ્યારે નવીન જિંદલનું કહેવું છે કે ચેનલનો હેતુ સત્ય સામે લાવવાનો ન હતો પરંતુ 100 કરોડ રૂપિયા કેવી રીતે બનાવી શકાય તેના પર ધ્યાન હતું. એડિટરોની ધરપકડના કારણે મીડિયા જગતમાં ખળભળાટ મચી ગયો છે.












Click it and Unblock the Notifications
