CM અમરિંદર અને સિદ્ધુની મુલાકાત, સરકાર સાથે સમન્વય માટે બન્યુ 'સ્ટ્રેટેજિક પૉલિસી ગ્રુપ'
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ પાર્ટી અને સરકારમાં સમન્વય માટે સીએમ અને સિદ્ધુએ સ્ટ્રેટેજિક પૉલિસી ગ્રુપ બનાવવા પર સંમતિ વ્યક્ત કરી છે.
ચંદીગઢઃ છેલ્લા ચાર વર્ષથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક કલેશ ચાલુ હતો પરંતુ હવે વિધાનસભા ચૂંટણીના કારણે ત્યાં ધીમે-ધીમે બધુ ઠીક થઈ રહ્યુ છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પર નવજોત સિદ્ધુની તાજપોશી થઈ હતી. તેમણે પૂરુ ફોકસ પાર્ટીને મજબૂત કરવા પર કર્યુ છે. આના કારણે શુક્રવારે સિદ્ધુએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમન સાથે કુલજીત નાગરા અને પરગટ સિંહ પણ હાજર રહ્યા. મુલાકાત દરમિયાન કોંગ્રેસ અને સરકારમાં સમન્વય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ પાર્ટી અને સરકારમાં સમન્વય માટે સીએમ અને સિદ્ધુએ સ્ટ્રેટેજિક પૉલિસી ગ્રુપ બનાવવા પર સંમતિ વ્યક્ત કરી છે. આ ગ્રુપમાં 10 સભ્યો છે જે સરકાર અને કોંગ્રેસ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય સુનિશ્ચિત કરવાનુ કામ કરશે. આ ઉપરાંત વિવિધ સરકારી કાર્યક્રમો અને વિકાસ માટે પણ ગ્રુપ સરકારને સલાહ આપશે. સ્પષ્ટ કરી દીધુ કે આ ગ્રુપની અધ્યક્ષતા મુખ્યમંત્રી જ કરશે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ સીએમની અધ્યક્ષતાવાળા આ સમૂહમાં મંત્રી બ્રહ્મ મોહિન્દ્રા, મનપ્રીત સિંહ બાદલ અને અરુણા ચૌધરી સભ્ય હશે. આ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ, કુલજીત સિંહ નાગરા, સુખવિંદર સિંહ ડેની, સંગત સિંહ ગિલજિયા, પરગટ સિંહ અને અરુણ ગોયલને પણ આમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.
હાઈકમાન્ડ શું ઈચ્છે છે?
તમને જણાવી દઈએ કે કેપ્ટન સાથે મનદુઃખ બાદ સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદથી તે સતત સાર્વજનિક મંચો પરથી તેમની ઉપર જોરદાર હુમલા કરી રહ્યા હતા. હાલમાં જ 2022ની વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટી હાઈકમાન્ડે બંનેમાં સમાધાન કરાવ્યુ. જે હેઠળ પીસીસીની જવાબદારી સિદ્ધુ અને સરકાર કેપ્ટન અમરિંદર પાસે છે. હવે હાઈ કમાન્ડ ઈચ્છે છેકે બંને નેતા જૂની વાતોને ભૂલીને પૂરુ ફોકસ ચૂંટણી પર કરે.