સિદ્ધૂ કરશે આમરણાંત ઉપવાસ, પત્નીનો પણ ના લીધો અભિપ્રાય
અમૃતસર, 28 સપ્ટેમ્બર: પોતાની મસ્તી અને મજાકિયા અંદાજ માટે જાણીતા અમૃતસરના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂ આજથી આમરણાંત ઉપવાસ કરશે. તેમને મીડિયાને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ મારો અંગત નિર્ણય છે. નવજોત સિંહ સિદ્ધૂ 'અમૃતસર'ના વિકાસ પ્રોજેક્ટોની અવગણના કરવામાં આવતાં અને નગર સુધાર ટ્રસ્ટની રકમ બીજા કાઉન્સિલને મોકલવાના વિરોધમાં કરી રહ્યાં છે.
નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે અનશન અંગે પોતાની પત્નીનો પણ અભિપ્રાય લીધો નથી અને ના તો કોઇ સંબંધીને પણ કહેશે. આ અંગે તેમની પત્નીનું કહેવું છે કે હું તેમની તરફેણમાં નથી, મારા મત મુજબ તેમને મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સાથે સીધી વાત કરવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધૂના નિર્ણય પર પંજાબ ભાજપના અધ્યક્ષ કમલ શર્માએ કહ્યું હતું કે તેમને આ નિર્ણય પર પુનવિચાર કરવો જોઇએ.
તો બીજી તરફ મુખ્યમંત્રી સુખવીર સિંહ બાદલે નવજોત સિંહ સિદ્ધૂના સંસદીય વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને પૂરા કરવાનો સમય નક્કી કરી દિધો છે અને અધિકારીને દિશા નિર્દેશ આપી દિધા છે.
આ મુદ્દે પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે અમૃતસરના વિકાસ માટે 2039 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે, કોર્ટના કારણો અને કેન્દ્ર દ્વારા ક્લિયરન્સ ન મળવાના કારણે કેટલીક યોજનાઓ લટકી પડી છે. આ પહેલાં નવજોત સિંહ સિદ્ધૂએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર પોતાના કેટલાક મનપસંદ સાંસદોના વિસ્તારમાં જ વિકાસ કાર્ય કરાવી રહી છે. માટે તે પોતાને ઉપેક્ષિત અનુભવી રહ્યાં છે.