નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા પર રાજકીય વિવાદ: કોંગ્રેસ ભિંસમાં મુકાયું
પંજાબના બલ્લેબાજ નેતા નવજોતસિંહ સિદ્ધુ દેશના રાજકારણમાં ફરીથી એક વખત ચર્ચામાં છે. એક તરફ દેશના પુર્વ વડાપ્રધાન વાજપાયીના નિધન પર રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે
પંજાબના બલ્લેબાજ નેતા નવજોતસિંહ સિદ્ધુ દેશના રાજકારણમાં ફરીથી એક વખત ચર્ચામાં છે. એક તરફ દેશના પુર્વ વડાપ્રધાન વાજપાયીના નિધન પર રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે, બીજી તરફ પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનના વડાપ્રધાન શપથગ્રહણ સમારોહમાં નવજોતસિંહ સિદ્ધુ હાજર રહેતાં વિવાદ સર્જાયો છે. શપથગ્રહણ સમારોહમાં સિદ્ધુ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના વડા સાથે બેઠેલા જોવા મળ્યા છે. તો, પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવા સાથે પણ મુલાકાત કરી હતી. નવજોતસિહ સિદ્ધુની પાકિસ્તાન મુલાકાતને લઇને વિવાદ સર્જાયો છે.
પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની સિદ્ધુની અપીલ
પાકિસ્તાનમાં નવજોતસિંહ સિદ્ધુએ ભારત પાકિસ્તાનના સંબંધ સુધારવાની અને આપસી મનમેળ વધારવાની અપીલ કરી છે. પરંતું, શું ખરેખર સિદ્ધુએ ઇમરાનખાનના શપથગ્રહણ સમારોહમાં જવાની આવશ્યકતા હતી.. ભારત પાકિસ્તાન સાથેના સંબંધ વણસેલા છે. બંને દેશોની સરહદ પર પણ ભારેલા અગ્નિની સ્થિતિ છે. શાંતિમંત્રણા કે ડિપ્લોમેટિક સંવાદ માટે સાનુકૂળ વાતાવરણ ઉભુ કરવા પાકિસ્તાન તૈયાર નથી ત્યારે, સિદ્ધુએ શપથગ્રહણ સમારોહમાં જવું કેટલું વ્યાજબી છે ? નવજોતસિંહ સિદ્ધુની પાકિસસ્તાન મુલાકાતથી કોંગ્રેસ પણ બેકફૂટ પર જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ પણ સિદ્ધુ પર નિવેદન આપવાથી બચી રહ્યા છે.
ખુનની હોળી ખેલવાનું બંધ કરી મહોબ્બત ફેલાવવાની કરી અપીલ
ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં નવજોતસિંહ સિદ્ધુ સહિત સુનિલ ગાવાસ્કર અને કપિલદેવ ત્રણે પુર્વ ક્રિકેટરોને આમંત્રણ પાઠવ્યું હતું. પરંતું, સિદ્ધુ ન માત્ર સમારોહમાં હાજર રહ્યા પરંતું, વિવાદાસ્પદ કાશ્મીરના વડા મસૂદ ખાનની પાસે બેઠેલા પણ જોવા મળ્યા હતા. તો, પાકિસ્તાનના લશ્કરી વડાને આલિંગન આપતા પણ જોવા મળ્યા છે. નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનમાં રાજનેતા તરીકે નહી પરંતું, મિત્રતા નિભાવવા શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હોવાનો એકરાર કર્યો છે. તો, બીજી તરફ ભારત પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા કોશીશ કરી નિકટતા લાવવા પ્રયાસ કરવાનો રાગ પણ આલાપ્યો છે. નવજોતસિંહ સિદ્ધુએ ખુનની હોળી ખેલવાનું બંધ કરી પ્યાર અને મહોબ્બત ફેલાવવા અપીલ પણ કરી છે.
દુશ્મનો સાથે બેસવાનું અને ગળે મળવાનું સિદ્ધુને પડશે ભારે ?
ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધ દિનપ્રતિદિન કડવાશમય બનતા જાય છે ત્યારે, આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધ મધુર બનવાની શક્યતા પણ નહિવત્ છે. પાકિસ્તાન નફ્ફટાઇથી બાજ આવે તેવી કોઇ સંભાવના પણ નથી ત્યારે, નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન મુલાકાત અને દુશ્મનો સાથે બેસવાની ચોમેર નિંદા થઇ રહી છે.. દેશના જવાનો સાથે ખૂનની હોળી ખેલતાં દુશ્મનો સાથે બેસીને સિદ્ધુએ નવા વિવાદને જન્મ આપ્યો છે.. જેનો જવાબ આપવો સિદ્ધુએ અને કોંગ્રેસને ભારે પડી શકે છે. સિદ્ધુ પોતાની પાકિસ્તાન યાત્રાને એક રીતે વ્યક્તિગત રીતે મુલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતું. તેમણે એક દેશના મોટા રાજકીય પક્ષના નેતા તરીકે પણ સ્થાન ધરાવે છે.. તેમજ પંજાબમાં કેબિનેટપ્રધાન તરીકે પણ સ્થાન ધરાવે છે, ત્યારે તેમની આ મુલાકાતને રાજકીય રંગ મળે તે સ્વાભાવિક છે.
પાકિસ્તાનના નામે રાજકારણ કરવું કેટલું યોગ્ય ?
ભાજપ નવજોતસિંહ સિદ્ધુની મુલાકાતને લઇને કોંગ્રેસને ભિંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતું, ખરેખર ભાજપે તે પણ ના ભુલવું જોઇએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોઇપણ જાતની સંસદીય કે વહિવટી પ્રક્રિયા સિવાય સીધા લાહોરની મુલાકાતે પહોચ્યા હતા અને વડાપ્રધાન નવાઝ શરીફની મુલાકાત કરી હતી. તો, અગાઉ ભાજપના વધુ એક વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી પણ જિન્નાહની મઝાર પર ચાદર ચઢાવી ચુક્યા છે. ત્યારે ખરેખર રાજકીય પક્ષોએ પોતાના ફાયદા માટે કોઇ રાજકીય નેતાને પાકિસ્તાન મુદ્દે કોસવાનું બંધ કરી નીતિ આધારીત રાજકારણ ખેલવું જોઇએ.