NIA કરશે ઇટાલિયન મરિન કેસની તપાસ : સુપ્રીમ કોર્ટ
મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર, ન્યાયમૂર્તિ અનિલ આર દવે અને ન્યાયમૂર્તિ વિકમજીત સેનની ત્રણ સભ્યોની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી વિશેષ અદાલત કોઇ અન્ય કેસ હાથમાં નહીં લે અને માત્ર આ કેસની સુનવણી વહેતી તકે પૂરી કરશે. કેસની સુનવણી પૂરી થાય ત્યાં સુધી બંને ઇટાલિયન નૌસૈનિકો (મસિમિલિયાનો લાતોરે અને સ્લવાતોરે ગિરોન)ને ન્યાયાલયની કેદમાં રાખવામાં આવે.
ઇટાલીની સરકારે આ પ્રકરણરાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવા સામે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કેસ આ તપાસ એજન્સીના ક્ષેત્રઅધિકારની બહાર છે. ઇટાલી સરકારે કેસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. એટર્ની જનરલ ગુલામ વહાણવટીએ 16 એપ્રિલના રોજ ઇટાલી સરકારના વિરોધનો જવાબ આપતા કહ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી આ કેસની તપાસ કરી શકે છે. તેમણે સરકારને વિશ્વાસ અપાવ્યો હતો કે કેસની તપાસ 60 દિવસમાં પૂરી કરવામાં આવશે.