નીતિશ કુમાર શપથ ગ્રહણ પહેલા સોનિયા-રાહુલના સંપર્કમાં, બિહારમાં આજે સંભાળશે મુખ્યમંત્રી પદ
નીતિશ કુમાર શપથગ્રહણ પહેલા સોનિયા અને રાહુલ ગાંધીના સંપર્કમાં છે.
પટનાઃ નીતિશ કુમાર શપથગ્રહણ પહેલા સોનિયા અને રાહુલ ગાંધીના સંપર્કમાં છે. તેઓ આજે ફરીથી બિહારમાં મુખ્યમંત્રી પદ સંભાળશે. રાજ્યપાલ ફાગુ ચૌહાણ નીતિશને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. અહેવાલો મુજબ મંગળવારે સાંજે રાજીનામુ આપ્યા બાદ નીતિશે સોનિયા અને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી છે.
સીએમ અને ડેપ્યુટી સીએમના શપથ
અહેવાલો મુજબ જેડીયુ નેતા નીતિશ કુમાર બુધવારે બપોરે ફરીથી બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. આ અંદાજ નીતિશના નવા સહયોગી રાષ્ટ્રીય જનતા દળના ટ્વિટના આધારે લગાવવામાં આવી રહ્યો છે. આરજેડીએ તેના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, 'માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે બપોરે 2 વાગ્યે રાજભવન ખાતે યોજાશે.'
રાજદે કહ્યુ શપથ બે વાગે પરંતુ...
જો કે આરજેડીના ટ્વીટમાં કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આશા છે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સુપરત કર્યા પછી નીતિશે પૂર્વ સીએમ રાબડી દેવી અને અન્ય આરજેડી નેતાઓની હાજરીમાં તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી.
વિધાનસભામાં નીતિશની કેટલી તાકાત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને 164 ધારાસભ્યોની યાદી સોંપી છે. રાજ્યપાલ નીતિશને શપથ ગ્રહણ માટે આમંત્રિત કરશે. બિહાર વિધાનસભામાં 242 ધારાસભ્યો છે. બહુમતીનો આંકડો 122 છે. આવી સ્થિતિમાં નીતિશની તરફેણમાં આંકડા દેખાઈ રહ્યા છે.
બિહારનો રાજકીય ઘટનાક્રમ
આ પહેલા જેડીયુની બેઠક બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે ભાજપથી અલગ થવાની જાહેરાત કરી હતી ત્યારબાદ તેમણે રાજભવનની મુલાકાત લઈને સીએમ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. આ પછી નીતિશ આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. સમર્થનની ખાતરી બાદ નીતિશે નવા સહયોગીઓ સાથે સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો.
સોનિયા-રાહુલ અને નીતિશની વાત
ANIના અહેવાલ મુજબ નીતિશે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ફોન કરીને વાત કરી હતી. નીતિશે સમર્થન આપવા બદલ કોંગ્રેસ સુપ્રીમોનો આભાર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના સૂત્રોએ એએનઆઈને જણાવ્યુ હતુ કે, 'નીતિશ કુમારે મહાગઠબંધનને સમર્થન આપવા અને બિહારમાં સરકારની રચનાને સમર્થન આપવા બદલ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો છે.'
નીતિશના રાજીનામા પર ભાજપે શું કહ્યુ?
NDA સાથે મતભેદ અને ટકરાવના અહેવાલો વચ્ચે નીતિશ કુમારના રાજીનામા પછી બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે મંગળવારે કહ્યુ કે નીતીશ કુમારે બિહારના લોકોના જનાદેશનો અનાદર કર્યો છે.