ગાંધીનગર, 22 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયથી લોકસભા ચૂંટણી 2014ના ચૂંટણી પ્રચારમાં વિવાદાસ્પદ નિવેદનો આપી રહેલા નેતાઓને કડકાઇ પૂર્વક આવા નિવેદનો નહીં કરવાની સલાહ આપી છે. મોદીએ આ સલાહ આજે સવારે ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે 'સ્વયંને ભાજપના શુભચિંતક ગણાવતા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે ચાલી રહેલા પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે.'
મોદીએ ટ્વિટમાં આગળ જણાવ્યું કે 'હું આવા કોઇ પણ બેજવાબદારી ભર્યા નિવેદનને નકારું છું અને આ પ્રકારના નિવેદનો કરનારાઓને અપીલ કરું છું કે તેઓ આવા નિવેદનો આપવાથી દૂર રહે.'
ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી દૈનિકમાં છપાયેલા સમાચાર અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં એક રેલીમાં જણાવ્યું હતું કે મુસલમાનોને હિન્દુ વિસ્તારોમાં સંપત્તિ ખરીદતા રોકવા જોઇએ.
જ્યારે બિહારમાં ભાજપના નેતા ગિરિરાજ સિંહે ઝારખંડના ગોડ્ડામાં એક સભા સંબોધિત કરતા સમયે કહ્યું હતું કે જે લોકો તેમની પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે, તેમણે સામાન્ય ચૂંટણીઓ બાદ ભારત છોડીને પાકિસ્તાન જતા રહેવું જોઇએ.