PM મોદીની સુરક્ષામાં કોઈ ચૂક નહીં, રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું કાવતરૂ-CM ચન્ની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો છે.
નવી દિલ્હી, 07 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો છે. ગઈકાલની ઘટના બાદથી રાજકીય ગલિયારામાં એવી ચર્ચા ચાલી રહી છે કે પંજાબમાં સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. આ અટકળો વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્ર સરકાર પર વળતો પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માંગે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઊંડું ષડયંત્ર રચી રહી છે.
એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે, ફિરોઝપુરમાં પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ક્ષતિ નથી થઈ. તેમણે કહ્યું કે વડાપ્રધાન પહેલા વિમાન દ્વારા આવવાના હતા, પરંતુ રોડ માર્ગે આવવાનું શિડ્યુલ અચાનક નક્કી કરવામાં આવ્યું હતું, જેની મને જાણ કરવામાં આવી ન હતી.
બીજી તરફ ઈન્ટરવ્યુ દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અટકળો પર બોલતા કહ્યું કે, જો આવું કંઈ થવાનું છે તો તે કેન્દ્ર સરકારનું ઊંડું કાવતરું છે. તે પંજાબ અને પંજાબિયતને બદનામ કરવાનું એક ઊંડું કાવતરું છે. તે રાજ્યની સ્થિતિને ખરાબ કરવાનો પ્રયાસ છે. કેન્દ્ર પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માંગે છે.
ચરણજીત સિંહ ચન્નીએ વધુમાં કહ્યું છે કે પંજાબ સરકાર પરના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. સીએમ ચન્નીએ કહ્યું કે, વડાપ્રધાને પંજાબ અને પંજાબીઓ પર આટલો મોટો આરોપ લગાવ્યો છે અને અમને હત્યારા તરીકે ચિહ્નિત કર્યા છે, હું તમને કહેવા માંગુ છું કે અમે રાષ્ટ્રવાદી છીએ, અમારા લોકોએ દેશ માટે ઘણા યુદ્ધો લડ્યા છે અને આજે પણ પંજાબના સિંહ બોર્ડર પર શહીદ થાય છે. મેં પહેલા જ કહ્યું છે કે જો વડાપ્રધાન તરફ કોઈ ગોળી આવશે તો હું મારી છાતી પર લઈશ.