શા માટે ટ્વીટર પર ટ્રેન્ડ કરે છે '#चरखा_चोर_मोदी'?
ગુરૂવારે કેલેન્ડર સામે આવતાની સાથે જ રાજકારણમાં વાતાવરણ ફરીથી ઉગ્ર બન્યું છે. કેલેન્ડર અને ડાયરીના કવર પર લાગેલી તસવીર જોઇને કેવીઆઇસીના કર્મચારી અને અધિકારીઓ પણ દંગ રહી ગયા છે.
ખાદી ગ્રામોદ્યોગ આયોગ(કેવીઆઇસી) ના વર્ષ 2017ના કેલેન્ડરમાં મહાત્મા ગાંધીની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છપાતાં વિવાદ સર્જાયો છે. કેન્દ્રિય મંત્રી કલરાજ મિશ્રાએ કહ્યું કે, આ અંગે તેમણે માત્ર ખબરો જ વાંચી છે, આથી પૂરી જાણકારી મેળવ્યા વિના તેઓ નિવેદન આપી શકે એમ નથી. સાથે તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધી અમારા માટે પૂજ્ય છે અને કોઇ બીજું એમનું સ્થાન લઇ શકે એમ નથી. મહાત્મા ગાંધીની જગ્યાએ નરેન્દ્ર મોદીની તસવીરવાળું કેલેન્ડર સામે આવ્યું હતું.
કેલેન્ડર પર ચરખા સાથે મોદીની તસવીર
ગુરૂવારે સામે આવેલા આ કેલેન્ડરને કારણે રાજકારણમાં વાતાવરણ ફરીથી ઉગ્ર બન્યું છે. કેલેન્ડર અને ડાયરીના કવર પર છપાયેલી તસવીર જોઇને કેવીઆઇસીના કર્મચારીઓ અને અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચરખો ચલાવતા બતાવવામાં આવ્યા છે. પહેલા આ રીતે જ મહાત્મા ગાંધીની તસવીર કેલેન્ડર અને ડાયરી પર છાપવામાં આવતી હતી.
અહીં વાંચો - TATAના પહેલા નોન-પારસી ચેરમેન નટરાજન શેખરની 10 ખાસ વાતો
ગાંધીજી ખાદીના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર
એક એજન્સિ અનુસાર, કેવીઆઇસીના કર્મચારીઓએ આના વિરોધમાં ગુરૂવારે મુંબઇ સ્થિત હેડક્વોર્ટરમાં મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ ગાંધીજીની પ્રતિમા પાસે એકઠા થયા હતા અને ખાસો સમય સુધી કાળી પટ્ટીઓ બાંધીને ત્યાં બેસી રહ્યા હતા. આ મામલે કેવીઆઇસીના ચેરમેન વિકાસ કુમાર સક્સેનાને સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કેલેન્ડર અને ડાયરીના કવરમાં પહેલીવાર ફેરફાર નથી થયો, વર્ષ 2013 અને 2005માં પણ કેલેન્ડરનું કવર બદલવામાં આવ્યું હતું. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, ગાંધીજીની જ તસવીર કેલેન્ડર પર લગાવવી એવું જરૂરી નથી અને એવો કોઇ નિયમ પણ નથી. ગાંધીજી ખાદીના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રમોટ કરવા માટે ઘણા વખાણવાલાયક પગલા લીધા છે. આજના સમયમાં તેઓ પણ ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર છે.