ઇન્ડિયન આઇડલ ફેમ નાહિદ આફરિન વિરુદ્ધ 46 ફતવા જાહેર
ફતવાઓ અંગે નાહિદે કહ્યું કે, મારું સંગીત મારા માટે અલ્લાહની ભેટ છે, માટે કોઇના ડરથી હું ગીત ગાવાનું નહીં છોડું.
ઇન્ડિયન આઇડલ ફેમ નાહિદ આફરિન વિરુદ્ધ કટ્ટરપંથીઓએ ફતવા જાહેર કર્યા છે. અનેક આલોચનાઓ અને ધમકીઓ બાદ તેમની વિરુદ્ધ ફતવા જાહેર કરવામાં આવ્યા છે, તે પણ એક-બે ફતવા નહીં, પરંતુ 46 ફતવા જાહેર કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન આઇડલ જૂનિયરની ફર્સ્ટ રનર અપ
આફરીન વિરુદ્ધ આ ફતવા એટલા માટે જાહેર કરવામાં આવ્યા છે, જેથી તેને લોકો સામે ગાવાથી રોકી શકાય. ઉલ્લેખનીય છે કે, નાહિદ વર્ષ 2015માં મ્યૂઝિકલ રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઇડલ જૂનિયરની ફર્સ્ટ રનર અપ હતી.
ફતવાના પોસ્ટર
મંગળવારે મધ્ય આસામના હોજઇ અને નાગાંવ જિલ્લામાં ઘણા પોસ્ટરો વહેંચવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં આસામી ભાષામાં ફતવો અને ફતવો જાહેર કરવાવાળાઓના નામ લખવામાં આવ્યા હતા.
સંગીત છે શરિયાની વિરુદ્ધ
25 માર્ચના રોજ આસામ લંકા વિસ્તારના ઉદાલી સોનઇ બીબી કૉલેજમાં નાહિદનું પર્ફોમન્સ છે, જેને ફતવામાં શરિયા વિરુદ્ધ કહેવામાં આવ્યું છે. ફતવામાં સાફ લખ્યું છે કે, સંગીત અને મહેફિલમાં ગીત ગાવું સંપૂર્ણ રીતે શરિયાની વિરુદ્ધ છે.
ફતવા અંગે નાહિદની પ્રતિક્રિયા
આ ફતવા પર પ્રતિક્રિયા આપતાં નાહિદે કહ્યું કે, મારું સંગીત મારે માટે અલ્લાહની ભેટ છે, માટે કોઇના ડરથી હું ગીત ગાવાનું નહીં છોડું.
કટ્ટરપંથીઓના નિશાના પર નાહિદ
આ સંપૂર્ણ મામલે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, નાહિદે થોડા સમય પહેલાં જ આતંકવાદ, જેમાં આઇએસ આતંકવાદી સંગઠનનો પણ સમાવેશ થાય છે, તેમની વિરુદ્ધ કેટલાક ગીતો પર પર્ફોમન્સ આપ્યું હતું. એ પર્ફોમન્સ બાદ જ નાહિદ કટ્ટરપંથીઓના નિશાના પર છે.