આસામ: ATM માં દાખલ થઈને ઉંદરોએ રદ્દીમાં ફેરવી નાખ્યા 12 લાખ રૂપિયા
આસામના તિનસુકિયામાં ઉંદરોનો આતંક એ સમયે મુશ્કેલીનો પાઠ બન્યો જ્યારે SBI ના એટીએમની અંદર પ્રવેશી તેમણે 12 લાખ રૂપિયાની નોટો ને રદ્દી બનાવી દીધી હતી.
આસામના તિનસુકિયામાં ઉંદરોનો આતંક એ સમયે મુશ્કેલીનો પાઠ બન્યો જ્યારે SBI ના એટીએમની અંદર પ્રવેશી તેમણે 12 લાખ રૂપિયાની નોટો ને રદ્દી બનાવી દીધી હતી. ટીનસુકિયામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં ઉંદરોએ દાખલ થઈને એટીએમની અંદર રાખવામાં આવેલી નોટોને કાતરીને રદ્દી બનાવી દીધી. 20 મેના રોજ, લાઈપૂલીના SBI ATM (DFBK- 000196116) ની ટેકનિકલ ખામીના કારણે અચાનક બંધ કરવું પડયું હતું. એટીએમ બહારથી બંધ હતું, પરંતુ અંદરની બાજુ કાર્ય ચાલુ હતું. કામ ટેકનિશિયન નહિ પરંતુ 4-પગવાળા ઉંદરો કરી રહ્યા હતા. કોઈને ખબર પણ ન પડી હતી કે બંધ એટીએમની અંદર ઉંદરો પોતાનું કામ કરી રહ્યા છે. 11 મી જૂનના રોજ જયારે એટીએમને ઠીક કરવા માટે રિપેરમેને પહોંચીને જોયું ત્યારે તેની આંખો ફાટી ગઈ હતી.
12,38,000 રૂપિયા રદ્દી બનાવી દીધા
એટીએમનો દરવાજો ખોલ્યો ત્યારે એટીએમ ની અંદર 500 અને 2000 ની નોટોના નાનાં-નાનાં ટુકડા જમીન પર છવાયેલા હતા. જયારે મશીન ખોલીને જોયું ત્યારે નોટો રદ્દીમાં ફેરવાયલી હતી. તરત જ તેની જાણ બેંકને કરવામાં આવી હતી. બેંક અધિકારીઓના જણાવ્યા મુજબ ઉંદરોએ લગભગ 12,38,000 રૂપિયા રદ્દી બનાવી દીધા.
17 લાખ રૂપિયા બચાવવા માટે કામિયાબ રહ્યા
ગુવાહાટી માં આવેલી ફાઈનાશિયલ કંપની FIS- ગ્લોબલ બિઝનેશ સોલ્યુશન કંપની, જે એટીએમની દેખરેખ અને નાણાં એટીએમ નાખવાનું કામ કરે છે, તેમના જણાવ્યા મુજબ એટીએમમાં 29 લાખ રૂપિયા 19 મી મેના રોજ નાખવામાં આવ્યા હતા. બીજા દિવસે એટીએમેએ કામ કરવાનું બંધ કર્યું હતું. બેન્કના અધિકારીઓએ લોકલ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેઓ 17 લાખ રૂપિયા બચાવવા માટે કામિયાબ રહ્યા છે, જ્યારે 12 લાખ રૂપિયા ઉંદરોએ નાશ કર્યા છે.
ઘટના પર શંકા
જો કે, ઘણાં લોકો આ ઘટના પર શંકા કરી રહ્યા છે. લોકો કહે છે કે એટીએમ 20 મેં થી 11 જૂન સુધી બંધ રહ્યું. એટીએમ ઠીક કરવા માટે આટલો લાંબો સમય કેવી રીતે લાગી ગયો. તિનસુકિયાના સ્થાનિક નેતાએ પોલીસને આ મામલે ફરિયાદ નોંધાવી છે અને તેની તપાસની માગણી કરી છે.