BSF જવાન બાદ CRPF જવાને પણ વર્ણવી અપવીતી, વીડિયો થયો વાયરલ
જવાને વીડિયોમાં કહ્યું છે કે, દેશમાં એવી કોઇ ડ્યૂટી નથી જે CPRF જવાનો ન કરતા હોય. એ પછી પણ CRPF ને એ સુવિધાઓ નથી મળતી, જે સેનાના જવાનોને મળે છે.
બીએસએફ જવાન પછી હવે મથુરાના સૌંખ ક્ષેત્રના રહેવાસી કેન્દ્રિય રિઝર્વ પોલિસ બળ(CRPF)ના જવાને પોતાની આપવીતી કહેતો વીડિયો બનાવ્યો છે. સેના અને સીઆરપીએફના જવાનોને મળતી સુવિધા વચ્ચે મોટું અંતર છે, એ વાત પર સવાલ કરતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આ વીડિયો બનાવ્યો છે. સૌંખ ક્ષેત્રના ગામ સહજુઆ થોકના રહેવાસી એવા સીઆરપીએફ જવાન જીત સિંહનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
દરેક જગ્યાએ ડ્યૂટી કરવા છતાં પણ સુવિધાઓ નથી મળતી
આ જવાને પોતાના વીડિયોમાં કહ્યું છે કે, દેશમાં એવી કોઇ ડ્યૂટી નથી, જે સીઆરપીએફના જવાનો ન કરતાં હોય. મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારાથી લઇને સંસદ ભવન, ચૂંટણી, વીઆઇપી અને વીવીઆઇ સુરક્ષામાં સીઆરપીએફની ડ્યૂટી પર લગાવવામાં આવે છે. આ પછી પણ સીઆરપીએફને એ સુવિધાઓ નથી મળતી. રિટાયર થયા બાદ પણ સેનાના જવાનોને અન્ય સંસ્થાઓમાં પ્રાથમિકતાને આધારે કામ મળી જાય છે, પરંતુ સીઆરપીએફ જવાનોને સુવિધાઓ નથી મળતી.
વડાપ્રધાન મોદીને કરી અપીલ
જવાને કહ્યું હતું કે, શિક્ષકોને અમારા કરતા વધુ વેતન મળે છે. તેમને દરેક રજાનો લાભ મળે છે, પરંતુ સીઆરપીએફમાં સમયસર રજાઓ પણ નથી મળતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સેના અને સીઆપીએફ વચ્ચેના આ અંતરને સમાપ્ત કરવાની માંગ કરી છે. જવાને આ વીડિયોને વધુમાં વધુ શેર કરવાની પણ માંગ કરી છે.
નોંધનીય છે કે, આ પહેલાં સીમા પર ફરજ બજાવતા બીએસએફ જવાન તેજ બહાદુરે પણ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જવાનોને મળતી સુવિધાઓ અને ભોજન પર સવાલ ઉઠાવ્યા હતા. આ વીડિયો બાદ બીએસએફના અધિકારીઓને તે જવાન માનસિક રીતે અસ્થિર હોવાનું જણાવ્યું હતું. તેજ બહાદુરે પોતાના પરિવારને જણાવ્યું છે કે, તેમની પર હવે નિવેદન પાછું લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
તો બીજી બાજુ સીઆરપીએફના ડીજી દુર્ગા પ્રસાદે કહ્યું છે કે, જવાને જે મુદ્દાએ ઉઠાવ્યા છે, એ અંગે પહેલાથી જ વિચાર કરવામાં આવી રહ્યો છે. સાતમા પગાર પંચની માંગ સાથે જ આ તમામ માંગોનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે.