હવે પીએમ મોદીની સભાઓમાં મોદી મેજીક નથી રહ્યો-જિજ્ઞેશ મેવાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ તમામ પક્ષો આક્રમક પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ તમામ પક્ષો આક્રમક પ્રચાર કરી રહ્યા છે. તમામ પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના દલિત નેતા અને કોંગ્રેસમાંથી ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી પર પ્રહારો કર્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો દાવો કરતા કહ્યું કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બનશે. કોંગ્રેસ જીત સાથે ઘરે પરત ફરશે. એક ઈન્ટરવ્યુમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ વખતે રાજ્યમાં કોંગ્રેસ પહેલા કરતા વધુ મજબૂત છે. પાર્ટીના દરેક બૂથ પર કાર્યકરો હાજર છે. આ ઉપરાંત અમારી પાસે દરેક પંચાયતમાં જનમિત્રો છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વારંવાર ગુજરાતમાં ચૂંટણી સભાઓને સંબોધી રહ્યા છે.
જિજ્ઞેશ મેવાણી પહેલેથી જ પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે તેમણે વધુ એક વખત પીએમ મોદી પર આક્રમક પ્રહારો કર્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હવે પીએમ નરેન્દ્ર મોદી એ ઉત્સાહથી પ્રચાર કરતા નથી અને ગુજરાતની જનતાને અપીલ કરતા નથી. હવે ચૂંટણી રેલીઓમાં મોદી મેજીકનો અંત આવ્યો છે.
જિજ્ઞેશ મેવાણીએ મોટો દાવો કરતા કહ્યું કે, 40,000 થી 50,000 લોકો જે ભાજપની રેલીઓમાં ભાગ લે છે તે તમામ સરકારી કર્મચારીઓ છે. તેમને સૂચના આપવામાં આવે છે અને રેલીમાં આવવા માટે કહેવામાં આવે છે. લોકો હવે એ ઉત્સાહ સાથે ભાજપની રેલીમાં ભાગ લેતા નથી, હવે તો આરએસએસ અને ભાજપના કાર્યકરો પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કોઈપણ ટિપ્પણીનું સમર્થન કે વિરોધ કરતા નથી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હવે લોકોને સમજાઈ ગયું છે કે ભાજપની કટ્ટરતા અને તાનાશાહી ઘણી વધી ગઈ છે.
જિજ્ઞેશ મેવાણીએ આગળ વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ આ વખતે ગુજરાત ચૂંટણીમાં સકારાત્મક, સક્રિય પ્રગતીશીલ વિચારધારાને એકસાથે લાવવા માટે મેદાનમાં ઉતરી છે. રાહુલ ગાંધીએ લોકોને 10 લાખનો મફત તબીબી વીમો, જૂની પેન્શન યોજના, 3000 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવાનું અને કોરોના સમયગાળા દરમિયાન તેમના લોકોને થયેલા નુકસાન માટે 4 લાખનું વળતર આપવાનું વચન આપ્યું છે.
જિજ્ઞેશ મેવાણીએ મોંઘવારીને લઈને સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, આ વખતે અમે મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા પર ધ્યાન આપી રહ્યા છીએ. આ ચૂંટણીમાં મોંઘવારી સૌથી મહત્વનો મુદ્દો છે. સમાજના મધ્યમ વર્ગના લોકો, અનુસૂચિત જાતિ, ખેડૂતો, ઓબીસી, એસટી, એસસી અને લઘુમતી તમામ લોકો મોંઘવારીથી ચિંતિત છે.
જિજ્ઞેશ મેવાણીએ પોતાની રણનીતિ વિશે વાત કરતા કહ્યું કે, અમારી પાર્ટીના કેન્દ્રીય નેતાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવશે. અમે જાણીએ છીએ કે ગુજરાતના દલિત સમુદાયના લોકો અમારી પાસેથી શું ઇચ્છે છે. આ ઉપરાંત અમિત ચાવડા, પીસીસીના વડા જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકી ઓબીસી જાતિની જરૂરિયાતોથી સારી રીતે વાકેફ છે. આ સિવાય આદિવાસી સમાજમાંથી ઉભરતા સ્ટાર અનંત પટેલ આદિવાસી સમાજના મત કેવી રીતે જીતવા તે જાણે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસની જીતની શક્યતાઓ વધુ છે.
અહીં જિજ્ઞેશ મેવાણીએ મોટો દાવો કરતા કહ્યુ કે, આપ પાસે મજબૂત આધાર નથી. માત્ર સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવવો અને ટાઉન હોલનું આયોજન કરવાનો અર્થ એ નથી કે તે એક મજબૂત સંગઠન છે. તેમણે વધુમાં કહ્યું કે AAP શૂન્ય બેઠકો સાથે ચૂંટણી હારશે.