હવે મેડિકલમાં પણ OBC અને EWS અનામત ક્વોટાને મંજુરી, કેન્દ્ર સરકારે મંજુરી આપી
કેન્દ્ર સરકારે મેડિકલમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વોટા (એઆઈક્યુ) હેઠળ ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ) ને અનામત આપવાની મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારે મેડિકલમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વોટા (એઆઈક્યુ) હેઠળ ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ) ને અનામત આપવાની મંજૂરી આપી છે. ગુરુવારે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કરતા હવે પછાત વર્ગ (ઓબીસી) ના વિદ્યાર્થીઓને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ના વિદ્યાર્થીઓને 10 ટકા આરક્ષણ મળશે.
મેડિકલમાં OBC અને EWS ક્વોટાને મંજુરી
સરકારના નિર્ણય બાદ હવે ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કક્ષાના મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અનામત મળશે. આ લાભ ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળના શૈક્ષણિક સત્ર 2021-22 થી મળશે. સરકારના આ નિર્ણયથી એમબીબીએસના 1500 ઓબીસી વિદ્યાર્થીઓ અને અનુસ્નાતકના 2500 ઓબીસી વિદ્યાર્થીઓને લાભ થશે. એ જ રીતે, MBBS માં 550 વિદ્યાર્થીઓ અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 1000 વિદ્યાર્થીઓને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ લાભ મેળવશે.
અત્યારસુધી માત્ર ST અને SC ક્વોટાને માન્યતા હતી
નિર્ણય પછી વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરતા કહ્યું કે, અમારી સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષથી પીજી મેડિકલ/ ડેન્ટલ અભ્યાસક્રમો માટે ઓલ ઇન્ડિયા ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27 ટકા અને નબળા વર્ગ માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. આ આપણા દેશમાં સામાજિક ન્યાયનું એક નવું ઉદાહરણ બનશે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારની મેડિકલ કોલેજોમાં યુજીમાં 15 ટકા અને પીજીમાં 50 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ આવે છે. આમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને અનામત મળે છે, પરંતુ હજી સુધી અન્ય પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ નહોતી.
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ બેઠક યોજી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે મેડિકલ કોલેજોમાં અનામતના મુદ્દે એક બેઠક યોજી હતી. જેમાં તેમણે આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રાલય પાસેથી આ બાબતે માહિતી લીધી હતી. આ પછી વડાપ્રધાને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાને વિલંબ કર્યા વિના આ મુદ્દાનું નિરાકરણ લાવવા કહ્યું હતું. જેના પછી માનવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં જ સરકાર અનામતને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. ત્યારે હવે સરકારે અનામતને લઈને આ મહત્વની જાહેરાત કરી છે.