સાયરસ મિસ્ત્રીના મોત બાદ સરકાર એક્શનમાં, હવે કારમાં સવાર તમામ લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત કરાશે!
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના દુઃખદ અવસાન બાદ કારમાં સીટ બેલ્ટના ઉપયોગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
નવી દિલ્હી : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના દુઃખદ અવસાન બાદ કારમાં સીટ બેલ્ટના ઉપયોગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે મિસ્ત્રીના નિધન બાદ ફરી એકવાર સીટ બેલ્ટનું મહત્વ રેખાંકિત થયું છે. તેમણે કહ્યું કે સરકાર સીટ બેલ્ટ ફરજિયાત બનાવવાનો નિયમ બનાવશે. તમને જણાવી દઈએ કે ગડકરી લાંબા સમયથી રોડ સેફ્ટી પર ભાર આપી રહ્યા છે.
અહીં જણાવી દઈએ કે રવિવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે મર્સિડીઝમાં મુસાફરી દરમિયાન સાયરસ પાછળની સીટ પર બેઠા હતો, પરંતુ તેણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. તેમની કાર 130 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ચલાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે ભારતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હવે સરકાર પણ રોડ સેફ્ટી પર ભાર મુકી રહી છે.