નરેન્દ્ર મોદી PM બને તો વાંધો નહી: શિવસેના
અત્યાર સુધી નરેન્દ્ર મોદીની જગ્યાએ સુષ્મા સ્વરાજને વડાપ્રધાન પદ માટે કાબેલ જોનાર શિવસેનાએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બને છે તો તેમને કોઇ વાંધો નથી. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી.
નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન કરતાં શિવસેનાએ કહ્યું હતું કે મોદી એક મજબૂત નેતા છે અને તેના વિકાસની નિતિઓ શિવસેનાની વિચારસણી સાથે મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાલ ઠાકરેના નિધનના થોડા દિવસો પહેલાં સુષ્મા સ્વરાજને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતા. આજે ભલે બાલ ઠાકરે આ દુનિયામાં ન રહ્યાં પરંતુ શિવસેના તે સ્ટેન્ડ પર છે. શિવસેનાનું માનવું છે કે બાલ ઠાકરેએ જે કહ્યું હતું તેના પર પાર્ટી આજે પણ કાયમ છે.
શિવસેનાએ તેવા સમયે નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું છે કે જ્યારે એનડીએના એક ઘટક દળ જેડીયૂએ નરેન્દ્ર મોદીના નામ પર એનડીએ સાથે છેડો ફાડવાની ધમકી આપેલી છે.
નરેન્દ્ર મોદી માટે રાહતની વાત એ છે કે ગુજરાતની ચૂંટણી દરમિયાન સુષ્મા સ્વરાજ, અનંત કુમાર, અરૂણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણીએ તેમની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમનામાં વડાપ્રધાન બનવાની કાબેલિયત છે. તો બીજી તરફ ગોપી નાથ મુંડે, બિહાર ભાજપ અધ્યક્ષ સીપી ઠાકુર અને સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે.