નર્સિંગ હોમમાં ICU વિના નહીં થઇ શકે સર્જરી: સુપ્રીમ કોર્ટ
કલકત્તાના મેડિકલ બેદરકારીના કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આઇસીયુ વિના કોઇ નર્સિંગ હોમમાં સર્જરી ના થઇ શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે નર્સિંગ હોમમાં આઇસીયુ નથી, તેઓ કોઇપણ પ્રકારની સર્જરી નહીં કરી શકે. નોંધનીય છે કે, કલકત્તાના બિજૉયકુમાર સિન્હા દ્વારા વર્ષો પહેલા કરવામાં આવેલ અરજી મામલે સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સંભળાવ્યો છે. તેમણે પોતાની અરજીમાં તબીબ પર આરોપ મુકતા કહ્યું હતું કે, તબીબની મેડિકલ ગેરજવાબદારીને કારણે તેમની પત્નીનું મૃત્યુ થયું છે. બિજૉયના પત્ની કલકત્તાના એક નર્સિંગ હોમમાં હિસ્ટેરેક્ટોમી સર્જરી માટે ગયા હતા, સર્જરી દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તબીબ પર ગેરજવાબદારીનો આરોપ મુકાવામાં આવ્યો હતો.
બિજૉયે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, નર્સિંગ હોમમાં આઇસીયૂની સુવિધા પણ નહોતી. ઉલ્લેખનીય છે કે, અરજીકર્તા 23 સુધી આ કેસ લડ્યા હતા અને નિર્ણય આવતા પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ અરજીકર્તાના પુત્ર સૌમિકે આ કેસ આગળ ધપાવ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટ તરફથી તેમને ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તબીબ પર લાગેલ મેડિકલ ગેરજવાબદારીના આરોપો તો નકાર્યા છે, પરંતુ તબીબને અરજીકર્તાને રૂ. 5 લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.