વાવાઝોડા જવાદને લઈને ઓડિશા, આંધ્રપ્રદેશ, બંગાળ એલર્ટ, NDRF તૈનાત!
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ચક્રવાતી તોફાન જવાદ ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે અને ઓડિશાના પુરી જિલ્લામાં તેનું આગમન થાય તે પહેલાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે તેની 64 ટીમોને તૈયાર રાખી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ચક્રવાતી તોફાન જવાદ ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે અને ઓડિશાના પુરી જિલ્લામાં તેનું આગમન થાય તે પહેલાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે તેની 64 ટીમોને તૈયાર રાખી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી.કે. જેનાએ કહ્યું કે, ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાંથી બહાર નીકળતા પહેલા ઓડિશાના પુરી જિલ્લામાં કોઈ જગ્યાએ પહોંચે તેવી શક્યતા છે. તેમણે ભુવનેશ્વરમાં પત્રકારોને જણાવ્યું કે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નિર્દિષ્ટ ચક્રવાતના સંભવિત માર્ગ મુજબ તે પુરીના કિનારે લેન્ડફોલ કરી શકે છે અને સમુદ્રમાં પરત ફરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ચક્રવાત જિલ્લામાં પહોંચવાની સાથે 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ચક્રવાત ઓડિશાના દરિયાકાંઠે અથડાય તે પછી ગતિમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે.
પી.કે. જેનાએ વધુમાં કહ્યું કે, એવી પણ સંભાવના છે કે ચક્રવાત પોતાનો માર્ગ બદલી શકે છે અને ઓડિશા સુધી પહોંચશે નહીં. તે માત્ર દરિયાકાંઠા પરથી પસાર થઈ શકે છે અને પુરી તેના ઘર્ષણની અસરનો સામનો કરી શકે છે. એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 46 ટીમોને જોખમી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અથવા તૈયાર રાખવામાં આવી છે, જ્યારે 18 ટીમોને અનામત રાખવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા શેર કરવામાં આવેલા તૈનાતીના નકશા અનુસાર, 46 ટીમોમાં પશ્ચિમ બંગાળમાં 19, ઓડિશામાં 17, આંધ્રપ્રદેશમાં 19, તમિલનાડુમાં સાત અને આંદામાન અને નિકોબારમાં બે ટીમો રાખવામાં આવી છે. સ્થાનિક સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને તેને તૈનાત કરવામાં આવશે. NDRFની એક ટીમમાં 30 કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે પોલ કટર, ઇલેક્ટ્રિક કરવત, બોટ અને કેટલાક અન્ય રાહત અને બચાવ સાધનોથી સજ્જ હોય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત શનિવારે સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ, તે ઓડિશા અને અડીને આવેલા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરે બપોર સુધીમાં પુરી નજીક પુરી પહોંચશે.
IMDના ડાયરેક્ટર જનરલે કહ્યું કે, 30 નવેમ્બરે આંદામાન સમુદ્ર પર લો પ્રેસર બન્યુ હતુ. તે 2 ડિસેમ્બરે ડિપ્રેશનમાં અને શુક્રવારે સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. IMDએ કહ્યું કે શુક્રવારે બપોર સુધીમાં તે ચક્રવાતમાં ફેરવાયું. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે શુક્રવારે સાંજ સુધીમાં ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને તેની નજીકના દક્ષિણ તટીય ઓડિશા પર ખૂબ જ ભારે વરસાદ શરૂ થવાની સંભાવના છે અને શનિવારે વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. IMD એ શનિવાર અને રવિવારે પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રવિવાર અને સોમવારે આસામ, મેઘાલય અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શનિવાર સાંજથી આગામી 12 કલાક સુધી ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાતી તોફાન અસ્થાયી સમય માટે દરિયામાં મોટા તોફાનમાં ફેરવાશે અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. શુક્રવાર સાંજથી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. રવિવાર સવારથી આગામી 12 કલાક સુધી પવનની ઝડપ 80 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ દરમિયાન બંગાળનો દક્ષિણ હિસ્સો પણ ચક્રવાતને કારણે ભારેથી અતિ ભારે વરસાદ અને જોરદાર પવનનો સામનો કરવાની તૈયારી કરી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ સરકારના એક અધિકારીએ કોલકાતામાં જણાવ્યું કે, NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોને સમયસર બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમી સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, કોસ્ટ ગાર્ડને દરિયામાંથી સેંકડો માછીમારી બોટોને બહાર કાઢવામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ સરકાર નીચાણવાળા વિસ્તારોમાંથી ખાસ કરીને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે. આ દરમિયાન પુરી જિલ્લામાં ચાલી રહેલ નૃત્ય ઉત્સવ અને અન્ય કાર્યક્રમ શુક્રવારે રદ કરવામાં આવ્યા હતા. સૂર્ય મંદિર ખાતે કોણાર્ક ઉત્સવ અને ચંદ્રભાગા બીચ પર સેન્ડ આર્ટ ફેસ્ટિવલ બુધવારથી યોજાઈ રહ્યો હતો અને રવિવારે સમાપ્ત થવાનો હતો. રાજ્યના પ્રવાસન વિભાગે તેમને તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે.