આ વખતે કોઈ પણ પક્ષને લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહિ મળેઃ નવીન પટનાયક
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આગામી લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આગામી લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. નવીન પટનાયકે દાવો કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી પૂર્ણ બહુમત નહિ મેળવે. એક ચૂંટણી જનસભાને સંબોધિત કરીને પટનાયકે કહ્યુ કે દરેક મોરચે ઓડિશાને કેન્દ્રએ નજરઅંદાજ કર્યુ છે. આ સાથે નવીન પટનાયકે દાવો કર્યો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ મજબૂત પક્ષ તરીકે ઉભરશે અને કેન્દ્રમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
વિશેષ રાજ્યનો દરજ્જો ન મળ્યો
પટનાયકે કેન્દ્ર સરકાર પર ઓડિશાને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે કેન્દ્ર આંધ્રપ્રદેશ, છત્તીસગઢની મદદ કરે છે પરંતુ ઓડિશાને નજરઅંદાજ કરે છે. તેમણે ભાજપની આગેવાનીમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યુ કે સરકારે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે વચન આપ્યુ હતુ કે તે રાજ્યને વિશેષ દરજ્જો આપશે પરંતુ કેન્દ્ર સરકાર બનાવ્યા બાદ ભાજપ પોતાનું વચન ભૂલી ગઈ.
ભાજપે કર્યો હુમલો
વળી, પટનાયકના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે નવીન પટનાયક નથી ઈચ્છતા કે કેન્દ્રમાં મજબૂત સરકાર બને. તે ઈચ્છે છે કે મજબૂતની જગ્યાએ મજબૂર સરકાર બને. તેમણે કહ્યુ કે જે રીતે માયાવતી,મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ એ ઈચ્છે કે એ જ રીતે નવીન પટનાયક પણ એ જ ઈચ્છે છે કે કેન્દ્રમાં મજબૂત નહિ પરંતુ મજબૂર સરકાર બને. વાસ્તવામાં હાલમાં જ નવીન પટનાયકે નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે કોઈપણ પક્ષ બહુમત નહિ મેળવે.
23 મેના રોજ પરિણામ
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના એલાન બાદથી તમામ રાજકીય પક્ષો વચ્ચે નિવેદનબાજીનો દોર ચાલુ થઈ ગયો છે. 10 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યુ હતુ. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે યોજાશે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાશે. ચૂંટણીના પરિણામોની ઘોષણા 23મેના રોજ કરવામાં આવશે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાશે. ચૂંટણીને જોતા ચૂંટણી કમિશને આ વખતે પારદર્શી ચૂંટણી માટેની પૂરતી વ્યવસ્થા કરી છે. કુલ 10 લાખ પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે જેનાથી વધુમાં વધુ સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
આ પણ વાંચોઃ લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં નોમિનેશન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ