કોર્પોરેટ જગતનો મત : રાહુલ નહીં મોદી જ બનવા જોઇએ PM
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : ભાજપે હજી સુધી નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. શિક્ષક દિવસના એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ પોતે પણ 2017 સુધી ગુજરાતની સેવા કરવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ દેશના ટોચના બિઝનેસ લીડર્સે નિર્ણય લીધો છે કે આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના પસંદગીના ઉમેદવાર છે.
'ઇટી સીઇઓ કોન્ફિડન્સ સર્વે'માં 100 બિઝનેસ લીડર્સનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જેમાં લગભગ 75 ટકાએ વડાપ્રધાન તરીકે મોદી પર પસંદગી ઉતારી હતી. માત્ર સાત ટકા કંપનીના વડાએ જ પીએમ તરીકે રાહુલ ગાંધીની તરફેણ કરી હતી. આ નિર્ણય સાથે ભારતીય કોર્પોરેટ જગતે બે સ્પષ્ટ અને સ્વતંત્ર સંદેશ આપ્યા છે. જેમાં એક સંદેશ રાષ્ટ્રીય નેતૃત્વ અને બીજો રાજકારણ અંગે છે.
પહેલા સંદેશની વાત કરીએ તો ઘણો લાંબો સમય નીતિ વિષયક નિષ્ક્રિયતાના દોરમાંથી પસાર થયા પછી સીઇઓ હવે સશક્ત નેતૃત્વ, ઇચ્છાશકિત, નિર્ણયશકિત અને અસરકારક પગલાં માટે અધીરા બન્યા છે. કોર્પોરેટ જગતના મહારથીઓના મતે આ તમામ મુદ્દે રાહુલ ગાંધી કરતા મોદીનો હાથ ઉપર છે.
સર્વેક્ષણના તારણ પ્રમાણે મોદી માટે કોર્પોરેટ જગતની પસંદગી તેમના રાજકારણને સમર્થન આપતી નથી. બિઝનેસ લીડર્સનો અભિપ્રાય મોદીની નેતૃત્વ ક્ષમતાને પસંદ કરે છે. રાજકીય ક્ષેત્રે પણ 74 ટકાનું માનવું છે કે રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદી સારા વડાપ્રધાન પુરવાર થશે.
જ્યારે 58 ટકાને કોંગ્રેસ કે ભાજપ બેમાંથી કોઇ પણ પક્ષ સરકાર બનાવે તો વાંધો નથી, માત્ર સરકાર સ્થિર હોવી જોઇએ. અહીં સ્પષ્ટ સંદેશ છે કે, પક્ષ કરતાં નેતૃત્વ અને સ્થિરતા વધુ મહત્વનાં પરિબળ છે.