માત્ર એક રાજ્યએ ઓક્સિજનની કમીથી મોત થયા હોવાનું સ્વીકાર્યુ!
કોરોના વાયરસની બીજી લહેરે દેશની આરોગ્ય વ્યવસ્થાને ઉઘાડી પાડી દીધી હતી. હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજન, પથારી અને દવાઓના અભાવને કારણે કોરોના વાયરસના ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
કોરોના વાયરસની બીજી લહેરે દેશની આરોગ્ય વ્યવસ્થાને ઉઘાડી પાડી દીધી હતી. હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજન, પથારી અને દવાઓના અભાવને કારણે કોરોના વાયરસના ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સંસદના ચોમાસુ સત્રમાં સરકારે રાજ્ય સરકારો પાસેથી ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે ડેટા માંગ્યો હતો, જે હવે સામે આવ્યો છે. કેન્દ્રએ આજે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે અત્યાર સુધી માત્ર એક જ રાજ્યમાં શંકાસ્પદ મૃત્યુ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા મુજબ એક રાજ્ય સિવાય કોઈ રાજ્યએ ઓક્સિજનથી મોત થયાના કેસ નોંધ્યા નથી. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યોને ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે પૂછવામાં આવ્યું હતું. અત્યાર સુધીના અહેવાલો મુજબ માત્ર એક રાજ્યએ ઓક્સિજનથી શંકાસ્પદ મૃત્યુ વિશે જાણ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે જે રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ નોંધાયા છે તે રાજ્ય પંજાબ છે.
લવ અગ્રવાલે વધુમાં કહ્યું કે, રાજ્યોને પૂછવામાં આવ્યું કે શું ઓક્સિજન સંબંધિત મૃત્યુ થયા છે? જ્યારે સંસદમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે રાજ્યોને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. અમને અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ, માત્ર એક જ રાજ્યમાં શંકાસ્પદ મૃત્યુની જાણ કરવામાં આવી છે. ભારત સરકારે આ વર્ષની શરૂઆતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બીજી કોવિડ લહેર દરમિયાન ઓક્સિજનની કમીથી થયેલા મૃત્યુનો ડેટા આપવા જણાવ્યું હતું. રાજ્યોને 13 ઓગસ્ટ ચોમાસુ સત્રના અંત પહેલા આ ડેટા આપવાનું કહેવામાં આવ્યું હતું.