કોરોનાને લઈને તમામ રાજ્યોમાં મોક ડ્રિલ યોજાશે, કેન્દ્રિય સચિવે રાજ્યોને પત્ર લખ્યો
આઈએમએની એડવાયઝરીને લઈને ભારત સરકાર ગંભીર જોવા મળી છે. ભારત સરકાર કોરોનાને નીપટવા આગોતરા આયોજનમાં જોડાઈ ગઈ છે.
નવી દિલ્હી : વિશ્વમાં કોરોનાના કેસ વધતા ભારતમાં ખૌફનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી ભારત સરકાર સતત મોટા પગલા ભરી રહી છે. હાલમાં જ તમામ એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાયા બાદ હવે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોનાને લગતી સુવિધાઓને લઈને મોક ટ્રીલ કરવા કહ્યું છે.
દુનિયાભરમાં કોરોના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આઈએમએએ એડવાયઝરી જારી કરી હતી. હવે આ એડવાયઝરીને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે અને કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને મોક ડ્રિલ કરવા જણાવ્યુ છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, હાલમાં જ પીએમ મોદીએ હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કોરોના સામે સજ્જ થવા અને લોકોને નિયમોનું પાલન કરવા કહ્યું હતું. હવે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 27 ડિસેમ્બરે દેશભરમાં કોવિડ-સમર્પિત આરોગ્ય સુવિધાઓ સહિત તમામ આરોગ્ય સુવિધાઓની મોક ડ્રીલ કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવોને પત્ર લખ્યો છે.
27મી ડિસેમ્બરે યોજવામાં આવનારી મોકડ્રીલનો હેતુ આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા ચકાસવાનો છે. આ સુવિધાઓમાં હોસ્પિટલોમાં પથારીની ક્ષમતા, આઈસોલેશન બેડ, ઓક્સિજન સપોર્ટેડ આઈસોલેશન બેડ, આઈસીયુ બેડ અને વેન્ટીલેટર સપોર્ટેડ બેડની સાથે મેડિકલ સ્ટાફની ઉપલબ્ધતાની ચકાસણી કરાશે. રેફરલ સેવાઓ, કોવિડ પરીક્ષણ ક્ષમતા, દવાઓની ઉપલબ્ધતા, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર સહિતની તમામ આરોગ્ય સુવિધાઓને મોક ડ્રીલ કરી ચકાસવામાં આવશે.
હાલમાં જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને એડવાઈઝરી જારી કરી લોકોને કોરોનાથી બચવા જરૂરી સાવચેતી રાખવા જણાવ્યુ હતું. આ સિવાય કોરોનાને લઈને કેન્દ્ર સરકારને સુવિધાઓ ઉભી કરવા પણ જણાવ્યુ હતું