પીએમ મોદીને શપથગ્રહણમાં આમંત્રણ આપશે વઝીર-એ-આઝમ ઈમરાન ખાન!
હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ઈમરાન, પીએમ મોદીને પોતાના શપથગ્રહણ સમારંભ માટે આમંત્રણ આપી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પાકિસ્તાન પીએમ ઈન વેઈટિંગ અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનને જીતના અભિનંદન પાઠવ્યા હતા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ઈમરાન, પીએમ મોદીને પોતાના શપથગ્રહણ સમારંભ માટે આમંત્રણ આપી શકે છે. ઈમરાન 11 ઓગસ્ટે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. રસપ્રદ વાત એ છે કે ઈમરાન ખાન, પીએમ મોદીની જેમ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને શપથગ્રહણમાં આમંત્રણ આપવા પર વિચાર કરી રહ્યા છે. એ રીતે જોઈએ તો પીએમ મોદીને પણ શપથગ્રહણ માટે આમંત્રણ આપવામાં આવી શકે છે.
હજુ સુધી ઈમરાનને નથી મળ્યો બહુમત
65 વર્ષના ઈમરાનને જો કે હજુ સુધી સરકાર બનાવવા માટે જરૂરી આંકડાની જરૂર છે પરંતુ તેમને અને પક્ષને પૂરો ભરોસો છે કે 11 ઓગસ્ટે તે પીએમ તરીકે શપથ જરૂર લેશે. પક્ષના પ્રવકતા ફવાદખાન ચૌધરીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જાણકારી આપી, ‘પીટીઆઈની કોર કમિટી પ્રધાનમંત્રી મોદી સહિત સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો-ઓપરેશન એટલે કે સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને બોલાવવા અંગે વિચાર કરી રહી છે. જલ્દી આના પર કોઈ નિર્ણય લેવામાં આવશે.'
બંને દેશોના સંબંધોમાં નવી શરૂઆત
25 જુલાઈએ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણીમાં ઈમરાનનો પક્ષ પીટીઆઈ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. ભારતે પણ ઈસ્લામાબાદમાં વધતી રાજકીય હલચલો વચ્ચે ઈમરાનના પક્ષનો સંપર્ક કરવાની ગતિવિધિઓ તેજ ઝડપી કરી દીધી છે. સૂત્રોની માનીએ તો ભારતીય હાઈ કમિશનના અધિકારી પીટીઆઈ લીડર્સ સાથે સંપર્કમાં છે અને તે એવા નેતા છે જે નવી સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવવાના છે. પીટીઆઈના આ નેતાએ મોદી તરફથી ઈમરાનને કરાયેલા ફોનને બંને દેશોના સંબંધોમાં નવી શરૂઆત કરનાર ચેપ્ટર ગણાવ્યુ છે. વળી તેમણે એ વાતનો પણ ઈનકાર ના કર્યો કે મોદી શપથગ્રહણ સમારંભમાં આવી શકે છે.
પીએમ મોદીએ કરી હતી ઈમરાન સાથે વાત
પીએમ મોદીએ સોમવારે ઈમરાનને જે ફોન કર્યો હતો તેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનમાં લોકતંત્રની નવી શરૂઆત થશે અને સાથે દક્ષિણ એશિયામાં પણ શાંતિ જળવાશે. મે 2014 ના રોજ જ્યારે પીએમ મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તેમણે પણ તત્કાલીન પાક પીએમ નવીઝ શરીફને સાર્ક દેશોના પ્રમુખો સાથે આમંત્રણ આપ્યુ હતુ. આ આમંત્રણ સાથે નવાઝ પહેલી વાર અધિકૃત રીતે ભારતના પ્રવાસે આવ્યા હતા. રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ ઈમરાનને ફોન કરીને તેમને જીતના અભિનંદન પાઠવ્યા હતા. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી ટ્વિટર પર તેની જાણકારી આપવામાં આવી કે બંને નેતા ફોન પર થયેલી વાતચીત બાદ એ વાત પર રાજી થયા કે બંને દેશોના રાજકીય, સામાજિક અને આર્થિક ભવિષ્ય માટે નવા સંબંધોનો પાયો નાખવામાં આવે અને જૂની વાતોમાંથી બહાર નીકળવામાં આવે.