પાકિસ્તાને કારગિલ વિજય દિવસે જ ફરી યુદ્ધ વિરામનો ભંગ કર્યો
જમ્મુ - કાશ્મીર, 26 જુલાઇ : ભારતમાં એક તરફ દેશવાસીઓ વર્ષ 1999માં કારગિલમાં મેળવેલા શાનદાર વિજયની ઉજવણી કરી રહ્યું છે ત્યારે નાપાક પાકિસ્તાને ફરીથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે અંદાજે 200 જેટલા આતંકવાદીઓ સરહદ પર ઘૂષણખોરી માટે લાગ જોઇને બેઠા છે.
પાકિસ્તાનની નાપાક સેનાએ ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી LOC પર સ્થિત પૂના, પીલી અને રાની ટેકરી વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં પણ આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યાના અહેવાલ છે. જેમાં ચાર જવાન ઘવાયા છે અને બેની સ્થિતિ ગંભીર છે.
આતંકીઓના આ હુમલામાં એક પોલીસ કર્મચારી શહિદ થઈ ગયા છે. જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આપેલી જાણકારી મુજબ સોપોરના મુખ્ય ચોક નજીક એક પોલીસદળને ટાર્ગેટ બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાંક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.
જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લાં 24 કલાકમાં આતંકવાદીઓએ કાશ્મીરમાં સુરક્ષાબળો પર બીજીવખત હુમલો કર્યો છે. આ પૂર્વે શુક્રવારની સાંજે પણ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં પણ એક પોલીસ જવાન શહિદ થયા હતા.