પાણી બંધ કરો કે વેપાર, પાકિસ્તાન નહીં સુધરે, જાણો કેમ?
ઉરી આતંકી હુમલા બાદ પણ પાકે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેની નાપાક બોલીથી કાશ્મીરનો જ રાગ ગાયો. અને તે પછી ભારતે પણ તેને સણસણતો જવાબ આપ્યો. નોંધનીય છે કે ઉરી જેવા મોટા આતંકી હુમલા બાદ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર માટે પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી બની ગયો છે. અને આ વાત દેશવાસીઓ પણ ક્યાંકને ક્યાંક ઇચ્છે છે. જો કે સીધુ યુદ્ધ ભારતના હિતમાં કદીયે નથી.
સુષ્મા સ્વરાજની આ 10 વાતો પાકિસ્તાનને ચોક્કસ ખટકશે
અને આ માટે જ પાકિસ્તાન સાથે વેપારી સંબંધો તોડી દેવા કે પછી સિંધુ જળ સંધિ જેવી પાકિસ્તાનની જીવાદોરી દ્વારા પાકિસ્તાનને દબાવવાનો પ્રયાસ ભારત દ્વારા હાથ ધરવામાં આવ્યો છે જે સરાહનીય છે. પણ જ્યારે આ રીતે પાકિસ્તાનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ તે પણ ઊભો થાય છે કે શું પાકિસ્તાન આવું કરવાથી સીધુ દોર થઇ જશે? જવાબ છે ના કારણ કે....
કારણ કે નિયતમાં જ ખોટ છે.
તમે કોઇને ત્યારે જ બદલી શકો જ્યારે તે વ્યક્તિને અંદરથી લાગે કે તે ખોટો છે અને તેને બદલાવ લાવવાની જરૂર છે. સુષ્મા સ્વરાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તીખા વાકબાણ કહેવા છતાં પાકિસ્તાનનું તે જ કહેવું છે કે આ તમામ આરોપ ખોટા છે. પાકિસ્તાન જ્યાં સ્વીકારવા તૈયાર નથી કે તેને ત્યાંથી ભારતમાં આતંકી આવે છે ત્યારે સુધરવાની તો વાત જ ખૂબ દૂર છે!
પાકિસ્તાનમાં નામની લોકશાહી
પાકિસ્તાનમાં લોકશાહી ખાલી નામની છે. અને ઇતિહાસમાં તેવા અનેક પુરાવા છે જ્યારે ત્યાંના લશ્કરે લોકશાહીને પોતાના હાથમાં લઇ લીધી હોય. જ્યારે પાકિસ્તાનના લશ્કરના જનરલના રિએક્શન ત્યાંના વિદેશ મંત્રી કરતા વધુ ઝડપથી આવતા હોય અને તેમાં પણ પરમાણુ હુમલાની વાતો થતી હોય તો પછી તમે કોને સીધા કરવાની વાત કરો છો?
પાકિસ્તાનની નબળી આર્થિક પરિસ્થિતી
પાકિસ્તાનનું ભારત કંઇ ના પણ કરેને, તો પણ તેની આર્થિક પરિસ્થિત અત્યારે એટલી નબળી છે કે થોડા સમયમાં તેની હાલત પણ ગ્રીસ જેમ "દેવાળિયા દેશ" જેવી ન થાય તો નવાઇ નહીં. આતંકવાદે અહીં બહારના કોઇ રોકાણ પર રોક લગાવી દીધી છે. પાકિસ્તાન તેની કમાણીનો 44 ટકા ભાગ દેવું ચૂકવવામાં વાપરે છે. હાલ તેની પર 50 બિલિયન ડોલર કરતા પણ વધુ દેવું છે તેવું મનાય છે.
પાકિસ્તાનનું અર્થતંત્ર
શહેરોને છોડીને પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારો ભૂખમરો, ગરીબી અને બેરોજગારી જેવા દૂષણ સામે લોકો ખરાબ રીતે ઝઝૂમી રહ્યા છે. ત્યારે અનેક બેરોજગાર પાકિસ્તાની યુવકો આતંકીઓની નાપાક ચાલમાં ફસાઇ જાય છે.
1948 પણ કરાયું હતું પાણી બંધ
નોંધનીય છે કે વર્ષ 1948માં પણ ભારતે પાકિસ્તાનને પાણી આપવાની ના પાડી હતી. તેમ છતાં પાકિસ્તાને તેનો કાશ્મીર રાગ આલપવાનો બંધ નહતો કર્યો. તે બાદ 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થતાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સિંધુ જળ સંધિ કરવામાં આવી હતી.
વેપાર બંધ
હાલ પાકિસ્તાન ભારતનું મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) છે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક વેપારી સંબંધો છે. જે પર પણ મોદી સરકાર લાલ આંખ કરી રહી છે. જો કે આમ કરવાથી પાકિસ્તાનને નુક્શાન અને ભારતને ફાયદો છે. પણ નોંધનીય છે કે કારગિલ યુદ્ધ પછી પણ પાકિસ્તાન સાથે વેપારી સંબંધો બંધ કરવામાં આવ્યા હતા. જે બાદ પણ પાકિસ્તાનમાં કંઇ ખાસ સુધારો નહતો જોવા મળ્યો!
ભારતનો પ્રયાસ સરાહનીય પણ?
જો કે પાકિસ્તાન પર કેવા પગલાં લેવા તે અંગે ભારતે હજી સુધી કોઇ નિશ્ચિત નિર્ણય જાહેર નથી કર્યા. નોંધનીય છે કે, ભારત હજી પણ સિંધુ જળ સંધિ અને એમએફએન જેવા વેપારી સંબંધો વિષે વિચારી રહી છે. આ રીતે પાકિસ્તાનને દબાવવું એક સરાહનીય પ્રયાસ તો છે. પણ સવાલ ત્યાં થાય છે શું પાકિસ્તાનને સુધરવું છે?