સંસદ હુમલાની કહાની, અટલજી બોલ્યા- પાકિસ્તાનને 30 મિનિટમાં ખતમ કરી શકીએ
સંસદ ભવનમાં ઘૂસેલા પાંચ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
13 ડિસેમ્બર 2001ના રોજ સંસદીય શિયાળુ સત્ર ચાલી રહ્યું હોવાથી પાર્લામેન્ટમાં ગરમાગરમી ચાલી રહી હતી. આ દરમિયાન પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો બોલી દીધો હતો, ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં આ ઘટનાએ આખા દેશને ધ્રૂજાવી દેનાર ઘટના હતી. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આતંકવાદીઓ લોકતંત્રના મંદિર સુધી પહોંચી જશે. સવાલ એ છે કે આખરે સંસદ ભવન પર હુમલો કઈ રીતો થઈ ગયો? સુરક્ષા એજન્સીઓ અને ગાર્ડ્સ હોવા છતાં આતંકવાદીઓ સંસદના પરિસરમાં કઈ રીતે ઘૂસ્યા?
કયા આતંકી સંગઠને હુમલો કર્યો હતો?
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોએ સંસદ હુમલાની જવાબદારી લીધી હતી. પાંચ હથિયારધારી પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. સંસદ પરિસરમાં ઘૂસતાંની સાથે જ તેમણે સંસદ ભવન પર બોમ્બમારો અને ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં 9 નિર્દોષ મૃત્યુ પામ્યા હતા. જેમાં 8 સુરક્ષાકર્મચારી અને 1 માળી હતા. હુમલો કરનાર પાંચ આતંકવાદીઓને ઘટના સ્થળે જ ઠાર મારવામાં આવ્યા હતા.
આ ઘટનાને અંજામ કઈ રીતે અપાયો
કારગિલ યુદ્ધ બાદ શબપેટી કૌભાંડને લઈ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં હંગામો મચ્યો હતો. આ કારણે જ બંને સદનની કાર્યવાહી સ્થગિત થઈ ચૂકી હતી. સવારે 11 વાગ્યાની આસપાસ કેટલાક સાંસદો સંસદ ભવનથી બહાર નીકળી ગયા, તો કેટલાક સેન્ટ્રલ હોલ અને લાઈબ્રેરી તરફ ગયા.
ત્યારે જ ગૃહ મંત્રાલયનું સ્ટિકર લગાવેલી એક સફેદ કલરની એમ્બેસેડર કાર સંસદ ભવન પરિસરમાં પ્રવેશી. કારમાં બેઠેલા પાંચેય શખ્સો સેનાની વર્દીમાં હતા. કદાચ એટલા માટે જ સુરક્ષા કર્મચારીઓને તેમના પર શક ના થયો એક મોટી ચૂક થઈ ગઈ. પાંચેય આતંકી સાયરન વગાડતા સંસદ પરિસર સુધી પહોંચી ગયા. અંદર પહોંચવા પર તેમની હરકતોથી ત્યાં હાજર સુરક્ષાબળને જ્યારે તેમના પર શક થયો, સુરક્ષાકર્મીઓએ જેવા જ તેમના ઉભા રહેવા ઈશારો કર્યો કે, આતંકવાદીઓએ તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું.
આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ કર્યું
જે કારથી આતંકવાદીઓ સંસદ પરિસરમાં ઘૂસ્યા, તેને બોમ્બથી ઉડાવવા માંગતા હતા, પરંતુ સુરક્ષાબલોએ એવું થતા પહેલાં જ તેમના પર ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી. આ હુમલામાં સૌથી પહેલાં ગેટ નંબર 11 પર તહેનાત સીઆરપીએફની કોન્સ્ટેબલ કમલેશ કુમારી શહીદ થયાં.
સંસદ પરિસરમાં અફરાતફરી મચી
સંસદ બહાર સુરક્ષાબળના જવાન આતંકીઓ સામે લડી રહ્યા હતા. તો બીજી બાજુ સંસદમાં હાજર તમામ સાંસદ ભયભીત થઈ ચૂક્યા હતા. સંસદ અંદર ફાયરિંગ અને બોમ્બ ધમાકાના કાન ફાડી નાખે તેવા અવાજ વચ્ચે શરૂઆતની મિનિટોમાં આખા પરિસરમાં જબરદસ્ત અફરાતફરી મચી હતી. જો કે સુરક્ષાદળોએ ગોળીઓનો અવાજ સાંભળતાં જ 9 નંબરનો ગેટ બંધ કરી દીધો હતો. આ ઉપરાંત સંસદમાં હાજર તત્કાલીન ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી અને કેબિનેટના દિગ્ગજ મંત્રીઓને સંસદ ભવનમાં એક ગુપ્ત સુરક્ષિત ઠેકાણે લઈ જવામાં આવ્યા હતા.
'આતંકનો ભય' લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો
આતંકી હુમલાની શરૂઆત 11:25 વાગ્યે થઈ હતી અને સુરક્ષાદળોએ 12:10 વાગ્યા સુધી આતંકના ભયને ખતમ કરી દીધો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે પાંચેય આતંકવાદીઓ ઠાર મરાયા હોવા છતાં કેટલા આતંકવાદીઓએ હુમલો કર્યો તે માહિતીથી સુરક્ષા કર્મચારીઓ અજાણ હતા. કહેવાય છે કે વિસ્ફોટક બાંધેલા હોવાથી પાંચમા આંતકવાદીના શરીરના નીચલા ભાગના ચીથરે ચીથરાં ઉડી ગયાં હતાં. લોહી અને માસના ટુકડા સંસદ ભવનની જમીન અને દિવાલો પર ચોટી ગયાં હતાં અને સળગેલા દારૂગોળા અને માણસના શરૂરની ગંધ ચારોતરફ ફેલાઈ ગઈ હતી.
અડવાણી અને સોનિયા ગાંધીએ અટલ જીને ફોન કર્યો
કેટલાક મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે લાલ કૃષ્ણ અડવાણીએ સંસદ ભવનમાં ગોળીઓનો અવાજ સાંભળતાની સાથે જ સૌથી પહેલાં અટલ બિહારી વાજપેયીને કોલ કરી તેમના ખબરઅંતર પૂછ્યા, અને તેમને બનેલી ઘટનાની જાણકારી આપી, કેમ કે અટલ બિહારી વાજપેયી કાર્યવાહી સ્થગિત થયા બાદ સંસદ ભવનમાંથી ચાલ્યા ગયા હતા. એક એવા પણ અહેવાલ છે કે સંસદ પર હુમલાની વાત સાંભળી સોનિયા ગાંધીએ પણ અટલ બિહારી વાજપેયીને ફોન કરી તેમના ભાવ પૂછ્યા તો અટલજીએ કહ્યું કે, મારું છોડો તમારું જણાવો કે તમે તો ઠીક છોવને.
જેનો ડર હતો તે જ થયું
અમર ઉજાલાના અહેવાલ મુજબ જસવંત સિંહની ડાયરી 'ઈન્ડિયા એટ રિસ્ક'માં તેઓ લખે છે કે ગેટ નંબર 12થી 20 ફીટ દૂરી પર આવેલ મારી ઑફિસ રૂમ નંબર 27માં હું ફાઈલો જોઈ રહ્યો હતો. ગોળીઓનો અવાજ સાંભળ્યો તો લાગ્યું કે કોઈ સુરક્ષાકર્મીની આંખ લાગી ગઈ હશે અને ટ્રિગર દબાવાઈ ગયું હશે. ત્યારે જ ધમાકાનો અવાજ પણ સંભળાયો. રાઘવન દોડતા આવ્યા અને બોલ્યા, સર આ શું છે? મેં કહ્યું- જેનો આટલા દિવસથી ડર હતો, તે કદાચ થઈ ગયું. અફરાતફરી મચી હતી, દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકો આમ-તેમ ભાગી રહ્યા હતા. બહારથી ગોળીબારીનો અવાજ અંદર સુધી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.
30 મિનિટમાં પાકિસ્તાનને નકશામાંથી હટાવી શકીએ
આજતક ચેનલના રિપોર્ટ મુજબ મશહૂર શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજે જણાવ્યું કે સંસદ હુમલા બાદ ત્યારના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પણ કહ્યું હતું કે પંડિત જી, પાકિસ્તાનને 30 મિનિટમાંમ દુનિયાના નક્શમાંથી હટાવી શકીએ છીએ. બિલકુલ સાફ... પરંતુ તે બાદ દેશ ત્રીસ વર્ષ પાછળ ચાલ્યો જશે. યુદ્ધ વિના પણ દુશ્મનને હરાવવાના ઉપાય પણ છે.
2001ના સંસદ હુમલા સાથે જોડાયેલા તથ્ય
- ભારતીય સંસદ પર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ કર્યો હતો.
- આતંકી ગૃહ મંત્રાલય અને સંસદના જ નકલી સ્ટિકર લગાવી એમ્બેસેડર કારથી ઘૂસ્યા હતા.
- આતંકવાદીઓ પાસે AK47, ગ્રેનેડ લૉન્ચર, પિસ્તોલ અને ગ્રેન્ડ હતા.
- હુમલામાં સૌથી પહેલાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કમલેશ કુમારી યાદવ શહીદ થઈ હતી.
- જે સમયે હુમલો થયો હતો તે સમયે ભવનમાં 200 સાંસદો હાજર હતા.
- CRPF (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ)ના જવાનોની એક બટાલિયન, જે જમ્મુ-કાશ્મીરથી પાછી ફરી હતી, તેણે તેજીથી હુમલાનો જવાબ આપ્યો અને તમામ આતંકવાદીઓને ઠાર માર્યા.
- આ સમગ્ર ઘટના 40-45 મિનિટ સુધી ચાલી. જેમાં આતંકવાદી સહિત 14 લોકોનાં મોત થયાં અને અન્ય 18 લોકો ઘાયલ થયા.
- હુમલાના 72 કલાકમાં ચાર સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી, જેમાંથી એક અફજલ ગુરુને ફેબ્રુઆરી 2013માં ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો. જ્યારે એક અન્ય દોષી શૌકત હુસૈને જેલમાં પોતાની સજા પૂરી કરી અને અન્ય બે આરોપીઓને કોર્ટે છોડી દીધા.