રામ રહીમ જેવા લોકો દરેક ક્ષેત્રમાં છે: બાબા રામદેવ
જોધપુર ખાતે પતંજલિની બેઠકમાં ભાગ લેવા પહોંચેલ બાબા રામદેવે પત્રકારો સાથેની મુલાકાતમાં મોટું નિવેદન આપ્યું હતું.
સોમવારના રોજ જોધપુરના ચોપાસની સ્થિત રિસોર્ટમાં પતંજલિ બેઠકમાં ભાગ લેવા પહોંચેલ યોગ ગુરૂ બાબા રામદેવે એક મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે અહીં કહ્યું હતું કે, મારું માનવું છે કે, સમાજના દરેક વર્ગમાં રામ રહીમ જેવા લોકો છે, પછી એ રાજકારણ હોય, મીડિયા હોય કે કોર્પોરેટ ક્ષેત્ર હોય. અંતર માત્ર એટલું છે કે, કેટલાક ખુલ્લા પડી ગયા છે અને કેટલાક હજુ પણ પડદા પાછળ છે. પત્રકારો સાથેની અનૌપચારિક વાચતીતમાં બાબા રામદેવે આગળ કહ્યું કે, તેમને પીએમ મોદી પાસે ઘણી અપેક્ષા છે અને તેમને આશા છે કે, પીએમ દેશવાસીઓની દરેક આશા પૂરી કરશે. રામદેવે કહ્યું કે, દેશવાસીઓએ થોડી રાહ જોવાની જરૂર છે. પીએમ મોદીના પ્રયાસો અને ઇચ્છાઓ સાચી દિશામાં આગળ વધી રહ્યાં છે.
રામદેવે કહ્યું કે, પીએમની નીતિઓ સારી છે અને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. સરકાર સારી નીતિઓ બનાવી શકે છે, પરંતુ પર્ફોમન્સ તો ખેડૂતે ખેતરમાં જ બતાવવું પડશે અને જવાને સીમા પર. આપણે એવી આશા રાખીએ કે બધા કામ સરકાર જ કરશે, તો તે યોગ્ય નથી.
શાળાઓમાં મિડ ડે સપ્લાઇ કરશે બાબા રામદેવ
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડને ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓમાં મિડ ડે મીલ સપ્લાય કરવાની તક મળી શકે છે. મીડિયાના અહેવાલો અનુસાર, બાબા રામદેવની કંપનીના લોકો આ 700 કરોડના કોન્ટ્રાક્ટ માટે લોબિંગ કરી રહ્યાં છે. આ માટે પતંજલિના કર્મચારીઓ કેબિનેટ મંત્રી તથા પ્રભાવશાળી વ્યક્તિઓની મુલાકાત કરી પતંજલિને કોન્ટ્રેક્ટ મળવાથી થતા ફાયદા અંગે જાણકારી આપી રહ્યાં છે.