ઉત્તરાખંડને બરબાદ કરવાનું કામ કોંગ્રેસે કર્યું - નરેન્દ્ર મોદી
ઉત્તરખંડના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધિત કરી, તેમણે કહ્યું કે કોંગ્રેસે ઉત્તરાખંડને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉત્તરાખંડ ના શ્રીનગરમાં ચૂંટણી સભા સંબોધતાં કોંગ્રેસ પર આકરા વાણી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડની બરબાદી માટે કોંગ્રેસ જવાબદાર છે. ઉત્તરાખંડના નિર્માણ પહેલાં કોંગ્રેસ કહેતું હતું કે આ રાજ્યનું નિર્માણ અમારા લોહી પર થશે. મુખ્યમંત્રી હરીષ રાવત પર હુમલો કરતાં તેમણે કહ્યું કે, આ એ જ છે જેઓ ઉત્તરાખંડને અલગ રાજ્ય બનાવવાની વિરુદ્ધ હતા અને હવે તેઓ પાછળના દરવાજેથી આવી મુખ્યમંત્રી બની બેઠા છે. નહીં તો અહીંના લોકો તેમને ક્યારેય મુખ્યમંત્રી ન બનવા દેત.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડનું ભાગ્ય બદલાવાનું છે. 12 માર્ચથી અહીંની સરકાર ભૂતપૂર્વ સરકાર થઇ જશે અને અભૂતપૂર્વ પરિણામો આવશે. ઉત્તરાખંડના લોકોમાં એટલું સામર્થ્ય છે કે જે આખા ભારતની રક્ષા કરે છે. ઝારખંડ, છત્તીસગઢ ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે, પરંતુ ઉત્તરાખંડ બરબાદ થઇ ગયું છે, આ માટે કોણ જવાબદાર છે. દરેક ભારતીય અહીં આવવા માટે લલચાય છે. આ દેવભૂમિ પર કોઇ યાત્રીને બોલાવવા માટે પ્રચાર કરવાની જરૂર નથી.
16 વર્ષનું ઉત્તરાખંડ
ઉત્તરાખંડ 16 વર્ષનું થઇ ગયું છે, હવે તે 21 વર્ષનું થાય ત્યાં સુધી તેને સારા ઉછેરની જરૂર છે. આગલા પાંચ વર્ષ સુધી તેને સારો ઉછેર આપવા માટે હું આવ્યો છું. આ લોકો વધુમાં વધુ શું કરી લેશે, મારી પર ગમે -તેવા આરોપ લગાડશે, હું એ બધું સહન કરી લઇશ. આ લડાઇ અહીં અટકવાની નથી. હું જ્યાં સુધી છું ત્યાં સુધી ના જાતે શાંતિથી બેસીશ કે ના કોઇને બેસવા દઇશ.
નોટબંધી બાદ આ લોકોને પરસેવો છૂટી ગયો છે
જે લોકોએ દેશને લૂંટ્યો છે, તેમણે દેશના પૈસા પરત કરવા પડશે. નોટબંધી બાદ આ લોકોને પરસેવો છૂટી ગયો છે. તેમની નોટની થોકડીએ બેકાર થઇ ગઇ છે, આથી મોદીને ગાળ આપતા તેઓ થાકતા નથી.
દેવભૂમિને બનાવી લૂંટભૂમિ
અહીં દારૂનો વેપાર અને ગેરકાયદેસર ખાણકામનો ઉદ્યોગ ચાલે છે. એ લોકો કેમેરા સામે ઝડપાયા છે. દેવભૂમિને એમણે લૂંટભૂમિ બનાવી દીધી. આપણા દેશને ભ્રષ્ટાચારે બરબાદ કર્યો, હવે ભ્રષ્ટાચારે અહીંથી જવું પડશે. એવો કોઇ ગ્રંથ નહીં હોય, જેમાં હિમાલયની જડી-બુટ્ટીની ચર્ચા કરવામાં ન આવી હોય. અહીંના પર્યાવરણમાં ખૂબ સામર્થ્ય છે, અહીંનો દરેક છોડ જડી-બુટ્ટી છે. પર્યાવરણ ક્ષેત્રે ભૂટાને વખાણવાલાયક કામ કર્યું છે, આપણું ઉત્તરાખંડ પણ પૂરા વિશ્વમાં પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ મોટું કેન્દ્ર બની શકે છે.
બોલિવૂડ શૂટિંગ અહીં થશે, એમણે બહાર જવાની જરૂર નથી
પુરૂષોની માફક જ અહીંની માતૃશક્તિ સંપૂર્ણ ઉત્તરાખંડની અર્થવ્યવસ્થાને ચલાવવાનું કામ કરી રહી છે. અમે આખા બોલિવૂડને ઉત્તરાખંડ આવવા માટે પ્રેરિત કરવાનું કામ કરીશું. ઉત્તરાખંડમાં ખૂબ તાકાત છે, અહીંના પહાડ હોય કે અહીંની યુવાની, તે તાકાતથી ભરપૂર છે. આ બોલિવૂડ ફિલ્મોની શૂટિંગ માટે છે, તેમણે બહાર જવાની શું જરૂર છે?
રેલ નેટવર્ક, રોડ નિર્માણ અને રોજગાર
અમે સરકારમાં આવ્યા બાદ જવાનોને વન રેન્ક વન પેન્શન આપવાનું કામ કર્યું. અમારી સરકાર અહીં પણ વિકાસનું કામ કરવા માંગે છે. સરકાર અહીંના રેલ નેટવર્કને વધારવા માંગે છે. અહીં રોડ નિર્માણ બાદ લોકોને રોજગારની તકો મળશે. અમે 12 હજાર કરોડ રૂપિયાથી ચાર ધામને જોડવાનું કામ કર્યું છે, આ આખા ભારતના સપનાને પૂરુ કરવા જેવું કામ છે. જો યાત્રીઓને અહીં આવીને તુરંત ભાગી જવાનું મન થાય તે ટૂરિઝમ ક્યારેય આગળ નહીં વધી શકે. ટૂરિઝમના વિકાસ માટે બે વસ્તુ જરૂરી છે, એક તો એ સ્થળે આવવાનું મન થાય અને આવ્યા પછી ત્યાંથી પાછા જવાનું મન ન થાય.












Click it and Unblock the Notifications
