કર્ણાટકમાં PM: કયો પંજો 1 રૂ.ને 15 પૈસામાં બદલે છે?
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકની મુલાકાતે છે. રવિવારે મોડી સવારે તેઓ મેંગ્લોર એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે કર્ણાટકના સ્થાનિકો ત્યાં હાજર રહ્યા હતા. એરપોર્ટથી પીએમ મોદી સૌ પ્રથમ ધર્મસ્થળ સ્થિત મંજૂનાથ સ્વામીના મંદિર પહોંચ્યા હતા. આ સાથે જ તેઓ કર્ણાટકમાં ભાજપ માટે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં પીએમ મોદી બિદરમાં 110 કિમી લાંબી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે, અહીં તેઓ એક જનસભા પણ સંબોધશે. તેમણે ધર્મસ્થળ ગ્રામીણ વિકાસ પરિયોજનાના લાભાર્થીઓને રૂપે કાર્ડ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કેશલેસ અંગે વાત કરી હતી અને કોંગ્રેસ પર વાણી પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું હતું કે, એક નેતાએ કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો ચાલે છે, જે જનતા સુધી પહોંચતા 15 પૈસા થઇ જાય છે. તે કયો પંજો છે, જે 1 રૂપિયાને 15 પૈસા બનાવી દે છે. અમે નક્કી કર્યું છે કે, દિલ્હીથી એક રૂપિયો નીકળશે તે ગરીબને 100 પૈસા પહોંચશે. હવે દેશમાં પ્રમાણિકોનો યુગ શરૂ થયો છે. આપણાં તિર્થસ્થળોનો વિકાસ જેવો થવો જોઇતો હતો એ રીતે થયો નથી. હું દેશ-દુનિયાની મોટી-મોટી યુનિવર્સિટીને આમંત્રણ આપું છું કે, તેઓ હોસ્પિટલ, ઇનસ્ટિટ્યૂટની રેંકિંગ કરીએ છીએ, તે જ રીતે ધર્મસ્થળોનો અભ્યાસ કરે. તેમણે આગળ કહ્યું કે, પોતાને તીસમાર ખાં ગણાવનારાઓ ગૃહમાં બોલતા હતા કે, ભારત ડીજિટલ કઇ રીતે બનશે, લોકો પાસે ફોન કે એટીએમ કાર્ડ નથી. પરંતુ આજે અહીં 12 લાખ લોકોએ સંકલ્પ લીધો હતો કે તેઓ પોતાનો વ્યવસાય કેશલેસ કરશે અને રૂપે કાર્ડ અને ભીમએપથી કરશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહેલાં જ 2 નવેમ્બરના રોજ બેંગ્લોરમાં કોંગ્રેસ સરકાર વિરુદ્ધ થનાર પાર્ટીની પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપી ચૂક્યાં છે. ભાજપના નેતા મુરલીધર રાવનું કહેવું છે કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ 2 નવેમ્બરના રોજ ભાજપ પરિવર્તન રેલીની શરૂઆત કરશે, જે પૂરા 75 દિવસ ચાલશે. આ પરિવર્તન યાત્ર 224 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થશે. પરિવર્તન યાત્રાના આ કાર્યક્રમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલી યાત્રા 2 નવેમ્બરના રોજ બેંગ્લોરથી શરૂ થશે અને બીજી યાત્રા એક મહિના બાદ હુબલીથી શરૂ થશે, 15 જાન્યુઆરીના રોજ આ યાત્રા પૂર્ણ થશે અને તેના સમાપન સમારોહમાં પીએમ મોદી પણ હાજર રહેશે. ભાજપનો દાવો છે કે, ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં સુધીમાં કર્ણાટકમાં ભાજપની લહેર જોવા મળશે. ગુજરાત ચૂંટણીને લઇને રાજકારણીય વાતાવરણ ખાસું ગરમ છે, આ વચ્ચે જ ભાજપે કર્ણાટકમાં પણ ચૂંટણી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.