PMની પ્રિન્સિપાલગીરી, સાંસદોની કાઢી ઝાટકણી
ગૃહમાં ઉપસ્થિત રહેવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને ફટકાર લગાવી છે.
સંસદ સત્ર દરમિયાન ભાજપ સાંસદોની ગેરહાજરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે સાંસદોને ફટકાર લગાવી છે. ગૃહમાં ગેરહાજર રહેતાં સાંસદો પ્રત્યે કડક વલણ અપનાવતાં પીએમ મોદીએ કહ્યું કે, સંસદ ની કાર્યવાહી પૂરી નથી થતી, વારે-વારે સાંસદોને બોલાવવા પડે છે.
હું ગમે ત્યારે સાંસદને ફોન કરીશ
વડાપ્રધાને કહ્યું કે, સાંસદોએ સદનમાં હાજર રહેવું પડશે. તેમણે સેન્ટ્રલ હોલમાં ઉપસ્થિત રહેતાં સાંસદને પણ જવાબ આપતાં કહ્યું કે, હું નથી જાણતો કે કોણ સેન્ટ્રલ હોલમાં છે. સદનમાં સાંસદોએ આવવું પડશે અને ઉપસ્થિત રહેવું પડશે. પીએમ મોદીએ તમામ ભાજપ સાંસદોને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો હતો કે, હું ગમે ત્યારે કોઇ પણ સાંસદને બોલાવવા માટે ફોન કરીશ અને જો તેઓ આવી શકે એમ ના હોય તો ફોન પર વાત કરીશ.
હું તમારી હાજરી નહીં પુરાવી શકું
ભાજપની સંસદીય બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે, હું બધું કરી શકું છું, પરંતુ તમારી હાજરી નહીં પુરાવી શકું. હું ફરીથી તમને વિજય અપાવી સંસદમાં લાવી શકું છું, પરંતુ સંસદમાં તમારી હાજરી નહીં પુરાવી શકું. તેમણે સાફ શબ્દોમાં સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સંસદની કાર્યવાહી યોગ્ય રીતે પૂરી કરવા માટે સાંસદોએ ગૃહમાં હાજર રહેવું પડશે.
જીએસટી અંગે લોકોને જાણકારી આપો
ભાજપ સાંસદો સાથેની આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, આઝાદી પછી દેશમાં સૌથી મોટું જીએસટી બિલ પાસ થયું છે. ભાજપના સાંસદ જીએસટીને સમજે અને તેની વિશેષતા અંગે લોકોને જાણકારી આપે. સાંસદોની આ બેઠક બાદ કેન્દ્રિય મંત્રી અનંત કુમારે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, વડાપ્રધાને તમામ સાંસદોને આ અંગે નિર્દેશ આપતા કહ્યું છે કે, 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિને તેઓ પોતાના સાંસદીય ક્ષેત્રમાં જાય અને પોતાના ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરે.
ભાજપનો સ્થાપના દિવસ મનાવવામાં આવશે
અનંત કુમારે આગળ જણાવ્યું કે, ભાજપના સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ લોકોને મોદી સરકારના કામકાજ અંગે જાણકારી આપશે. સાથે જ તમામ કાર્યકર્તાઓ આ દિવસે સફાઇ અભિયાન હેઠળ એક કલાકનું શ્રમદાન કરશે. આ દિવસે ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
અહીં વાંચો