જાણો, ભુતાન સંસદમાં PM મોદીએ કરી આ ખાસ વાતો
થિંપૂ/નવી દિલ્હી, 16 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના વિદેશ પ્રવાસ પર છે, પોતાની યાત્રાના અંતિમ દિવસે મોદીએ ભુતાનની સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ભુતાન સાંસ્કૃતિક વિરાસત અને પર્યાવરણની રક્ષા માટે હંમેશા જાગરુક રહ્યું છે અને તેથી તે શુભેચ્છાને પાત્ર છે.
તેમણે કહ્યું કે, જ્યારે વિશ્વમાં સત્તાના વિસ્તારનો પ્રવાસ હતો, ભુતાને લોકતંત્રનો મજબૂત પાયો નાંખવાનો પ્રયાસ કર્યો. વિશ્વના અનેક સ્થળો પર સત્તા હડપ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં હતા, ત્યારે ભૂટાને ઘણી જ ઉત્તમ રીતે લોકશિક્ષાના માધ્યમથી જન-મનને ધીરે ધીરે તૈયાર કરીને સંવૈધાનિક વ્યસ્થાને વિકસીત કરી, લોકતાંત્રિક પરંપરાને સ્થાપિત કરી છે.
પડોશી દેશના વખાણ કરતા મોદીએ કહ્યું કે, ભૂટાનમાં વિકાસ અને પર્યાવરણ સુરક્ષા સાથો-સાથ થયા. સાર્ક દેશોની ભલાઇ માટે એ ઘણું જ જરૂરી છેકે ભારત મજબૂત થાય અને ત્યાંના નાગરીક ખુશ રહે. ત્યારેજ તે પડોશી દેશના સુખ-દુઃખની ચિંતા કરી શકશે. ભારત જો આંતરિક સમસ્યાઓની સામે લડતું રહેશે તો તે કેવી રીતે અન્યોની મદદ કરી શકશે. ચાલો તસવીરો થકી જાણીએ કે મોદીએ ભુતાનની સંસદમાં કઇ ખાસ વાતોનો ઉલ્લેખ કર્યો.
એકબીજાને મદદ કરવી એ પડોશીની ફરજ
મોદીએ કહ્યું કે ભારતની જનતાએ વિકાસ અને સુશાસન માટે જનાદેશ આપ્યો છે. દરેક નાગરીક વિકાસનો એકમ છે. જો પડોશી દેશોએ વિકાસ કરવો હશે તો એકબીજાને મદદ કરવી પડશે અને એકબીજાને મદદ કરવીએ પડોશીઓની ફરજ છે. ભારત જેટલું સશક્ત થશે, પડોશી એટલાં જ મજબૂત થશે. ભારત અને ભુતાને એકબીજા માટે દિલના દરવાજા ખોલી નાંખ્યા છે અને સત્તા બદલવાથી આ દરવાજા બંધ થતા નથી.
સારા લોકતંત્રનું ઉદાહરણ છે ભુતાન
ભારત અને ભુતાનનો નાતો એક ઐતિહાસિક ધરોહર છે. ભુતાને લોકતંત્રની સ્થાપના કરી એ એક ઐતિહાસિક ડગ હતું. ભુતાન વિશ્વ માટે લોકતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીના મતદાતા ઘણા જ જાગરુક છે.
સશક્ત ભારત સાર્ક દેશો માટે હિતાવહ
મોદીએ સંસદને સંબોધિત કરતી વેળા કહ્યું કે, જો ભારત સશક્ત થશે તો તે સાર્ક દેશો માટે સારું અને હિતાવહ સાબિત થશે. પર્યાવરણ અંગે મોદીએ કહ્યું કે, પર્યાવરણને લઇને ભુતાન ઘણું જાગરુક છે, એ બદલ તેને અભિનંદન પાઠવું છું. ભુતાનમાં વિકાસ અને પર્યાવરણ સુરક્ષા એક સાથે થયા છે.
અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રમાં વધુ કામની સંભાવના
અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ કામની સંભાવના છે. ભારતની સેટેલાઇટ ટેક્નિકનો ઉપયોગ ભુતાનના વિકાસ માટે કરવામાં આવશે. અમારી ટેક્નિક બન્ને દેશોને વધુ નજીક લાવી શકે છે.
ભુતાનમાં ઇ-લાઇબ્રેરી બનાવવાનો નિર્ણય
મોદીએ કહ્યું કે, ભુતાનમાં શિક્ષા ટેક્નિકને જોડવી જરૂરી છે. ભુતાનની શિક્ષા ટેક્નિકને વધુ આધુનિક બનાવવી પડશે. ભારત ભુતાન માટે ઇ-લાઇબ્રેરી નેટવર્ક બનાવશે.
વિજળી ઉત્પાદનથી થશે ભુતાનનો વિકાસ
મોદીએ કહ્યું કે ભુતાન ઊર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ભુતાનની પનવિજળી પરિયોજના ભારત માટે મહત્વની. વિજળી ઉત્પાદનથી ભુતાનનો વિકાસ થશે.
હિમાલય આપણી સાંસ્કૃતિક વિરાસત
ક્યારેક ક્યારેક એવું લાગે છેકે હિમાલય આપણને અલગ કરે છે, પરંતુ એવું વિચારું છુંકે હિમાલય આપણને જોડે છે, હિમાલય આપણી સાંસ્કૃતિક વિરાસત છે. બન્ને તરફ વસેલા લોકો હિમાલયને એટલું જ આદર આપે છે. હિમાલયથી બન્નેને ઘણો જ લાભ મળે છે. સમયની માંગ છે, એક વૈજ્ઞાનિક રીતે હિમાલય પર અભ્યાસ થાય, પ્રાકૃતિક રીતે અભ્યાસ થાય, આ વિરાસતનો આવનારી પેઢી માટે ઉપયોગી માહિતી આપી શકાય.
હિમાલય માટે એક્શન પ્લાન
નેશનલ એક્શન પ્લાન અને બીજું ભારત ગંભીરતાથી એ વાતને વિચારી રહ્યું છેકે હિમાલયમાં ઇકો સિસ્ટમ હોય, આ એકલું ભારત કરી શકે તેમ નથી આડોશ પાડોશને દેશોએ તેની સાથે જોડાવું પડશે અને દિશામાં કામ કરવું પડશે. અમે ઇચ્છીએ છીએ એક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હિમાલય સ્ટડીઝની શરૂઆત કરવામાં આવે અને એ થકી માનવ કલ્યાણ માટે શું કરી શકાય તેના પર અમે વિચારી રહ્યાં છીએ અને તેનો લાભ ભુતાનને પણ મોટી માત્રામાં મળશે.
પ્રવાસનથી વિશ્વને જોડી શકાય
પ્રવાસન એક એવું ક્ષેત્ર છે, વિશ્વના પૌરાણિક ઇતિહાસને જૂઓ, અનેક લોકો વિશ્વભ્રમણ દરમિયાન અહી આવ્યા હશે. પ્રવાસન થકી વિતેલા કાલ અને વર્તમાનને જોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પ્રવાસન વિશ્વને જોડવામાં મદદરૂપ થાય છે. ટેરેરિઝમ ભાગલા પાડે છે જ્યારે પ્રવાસન એકઠાં કરે છે. ભુતાન પાસે વિશ્વને આકર્ષિત કરવાની પ્રાકૃતિક સંપદા છે, વિશ્વને વધુ આકર્ષિત કરવા માટે ભવિષ્યની યોજના બનાવી શકાય છે.
અહીની સંસદીય પ્રણાલી શીખવા જેવી છે
હું અહી આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે અહીની સંસદમાં એક નિયમ છેકે બધાએ પાંચ મીનિટ સુધી જ બોલવું તેનાથી વધારે બોલવામાં આવ્યું તો તે રેકોર્ડ થતું નથી. તમે જે સંસદીય પ્રણાલી બનાવી છે તે સમજવા અને શીખવા જેવી છે. અમે પણ અમારી સંસદમાં આ પ્રણાલી અપનાવવાનો પ્રયાસ કરીશું.