સંસદ પર આતંકવાદી હુમલાના શદીહોને વડાપ્રધાન મોદીની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, ડિસેમ્બર 13 : આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન અને અન્ય સંસદ સભ્યોએ વર્ષ 2001ની 13 ડિસેમ્બરે થયેલા ભારતીય સંસદ પરના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજે આ હુમલાને તેર વર્ષ થયા છે. દેશના વડાપ્રધાને આ અવસર પર હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે સંસદ ભવનમાં પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં શહીદોની તસવીરો આગળ દેશના વિવિધ પક્ષોના નેતાઓએ ફૂલો ચઢાવ્યા હતા.
આ નેતાઓમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભાજપના નેતા એલ કે અડવાણી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વગેરેએ પુષ્પાંજલિ આપી હતી.
નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા અનેક દિગ્ગજોએ જવાનોના બલિદાનને વખાણ્યું હતું.ભારતીય રેડ ક્રોસ સોસાયટી આજે સંસદમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે.
આતંકવાદી હુમલામાં કુલ 14 લોકો માર્યા ગયા હતા, જેમાં પાંચ આતંકવાદીઓ અને દિલ્હી પોલીસના 6 જવાનોનો સમાવેશ થાય છે.