આસારામને અલ્ટીમેટમ, 30 સુધી હાજર નહીં થાય તો થશે ધરપકડ
નવી દિલ્હી, 26 ઑગસ્ટ : સગીરા સાથે શારીરિક શોષણના આરોપી આસારામને પોલીસની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જોધપુર પોલીસે આસારામને નોટિસ મોકલીને ચાર દિવસની અંદર પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે જો આસારામ 30 ઑગસ્ટ સુધી હાજર નહીં થયા તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. જોધપૂર પોલીસ આજે અમદાવાદમાં આસારામને નોટિસ ફટકારશે.
છિંદવાડાના ગુરુકુળ આશ્રમના સંચાલક, હોસ્ટલ વોર્ડન અને આસારામના પ્રમુખ સેવાદાર શિવાને પણ પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે આસારામની સામે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા બદલ એક અરજી જોધપૂર હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આની પર સુનાવણી કરવામાં આવશે, આની પર આસારામે વધુ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે ફરિયાદી યુવતીને પીડિત કહેવી જોઇએ નહીં.
આસારામ બાપુએ જણાવ્યું કે કોઇ તેને પીડિતા કહે છે તો મને ખૂબ ખરાબ લાગે છે. પીડિત તો તેને કહેવાય જેની પવિત્રતા કોઇએ છીનવી લીધી હોય. તે સગીરા મારી શું લાગે છે તે કહીંશ તો તમને હેડલાઇન બનાવવામાં મજા આવશે. તે કન્યા મારી પૌત્રી લાગે છે, તેની માતા મારી શિષ્યા છે, તેનો બાપ મારો ચેલો છે. તે કન્યા આજની તારીખમાં પણ શીલવાન છે, નિર્દોષ છે. તે કોઇ પીડિતા નથી, કોઇની પણ એવી હિમ્મત નથી કે મારી શિષ્યાને પીડિતા બનાવી દે.
આસારામના નિવેદનો પરથી હવે એવું ફલિત થાય છે કે તેમણે આ કેસમાંથી બચવા માટે ભાવાત્મક પેંતરો રચ્યો છે. જોકે આ ઘટનાને છ દિવસ થઇ ગયા છે છતાં હજી સુધી આસારામ બાપુની ધરપકડ પણ કરવામાં નથી કે તેમની પૂછપરછ પણ કરવામાં નથી આવી, જોકે જોધપૂર પોલીસે તેમને ચાર દિવસમાં પૂછપરછ માટે હાજર રહેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.