રિયાન સ્કૂલના માલિકોને જોઇએ છે આગોતરા જામીન, પરંતુ...
પ્રદ્યુમ્ન હત્યાકાંડ: રિયાન સ્કૂલના માલિક પિંટો પરિવારની અગ્રીમ જામીનની અરજીની સુનવણીનો જજે કર્યો ઇનકાર
ગુરૂગ્રામની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8 સપ્ટેમ્બરના રોજ 7 વર્ષીય પ્રદ્યુમ્નની હત્યા થઇ હતી. આ મામલે પોલીસ દ્વારા શાળાના જ એક બસ કંડક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ શાળા તરફથી ભારે ગેરજવાબદારીની વાત સામે આવ્યા બાદ સરકાર દ્વારા ત્રણ મહિના માટે શાળાને ટેકઓવર કરવામાં આવી છે. આ મામલે ટૂંક સમયમાં જ સીબીઆઇ તપાસ શરૂ થાય એવી શક્યતા છે. આથી શાળાના માલિક પિંટો પરિવારને હવે ધરપકડનો ડર લાગ્યો છે. આ કારણે જ પિંટો પરિવાર દ્વારા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક રાયન પિંટો, ગ્રેસ પિંટો અને ઑગસ્ટીન પિંટોએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર મંગળવારે સુનવણી થનાર હતી, પરંતુ એ પહેલાં જસ્ટિસ ચૌધરીએ અરજીકર્તાઓ સાથે વ્યક્તિગત ઓળખાણની વાત કહી આ કેસની સુનવણી કરવાની મનાઇ કરી હતી. આથી આ કેસ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની અલગ બેંચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પિંટો પરિવારે 16 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ પહેલાં 14 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટ દ્વારા પિંટો પરિવારની આગોતરા જામીનની અરજી ફગાવવામાં આવી હતી.
9 દિવસ બાદ ખુલી શાળા
સોમવારે 9 દિવસ બાદ રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી ખુલી હતી અને શાળામાં 1200 બાળકોની જગ્યાએ માત્ર 250 બાળકો જ પહોંચ્યા હતા. જો કે, શાળા ખુલવા સામે મૃતક પ્રદ્યુમ્નના પિતા વરુણને વાંધો હતો, તેમનું માનવું હતું કે શાળા ખુલી તો જરૂરી પુરાવાનો વિનાશ કરી શકાય છે. તંત્રએ તેમની વાત ધ્યાનમાં લેતા મોટો નિર્ણય લીધો છે અને 25 સપ્ટેમ્બર સુધી ફરી શાળા બંધ કરવામાં આવી છે.
CBI તપાસ
મૃતક પ્રદ્યુમ્નના પરિવારની માંગણીને ધ્યાનમાં રાખીને હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ સીબીઆઇ તપાસની ભલામણ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકારે મીડિયા અને પરિવારજનો સામે ભલે સીબીઆઇ તપાસની ઘોષણા કરી હોય, પરંતુ તેમના તરફથી સીબીઆઇને અધિકૃત સૂચના મોકલવામાં નહોતી આવી. મંગળવારે ગૃહ સચિવ એસ.એસ.પ્રસાદ દ્વારા સીબીઆઇને આની સૂચના મોકલવામાં આવી હતી.