પ્રદ્યુમ્ન હત્યા કેસ:રયાન સ્કૂલના માલિકોની આગોતરા જામીનની અરજી રદ્દ
પ્રદ્યુમ્ન હત્યા કેસ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું કે, પિંટો પરિવારની ધરપકડ પર રોક લગાવવામાં નહીં આવે.
પ્રદ્યુમ્ન હત્યા કેસ મામલે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં રયાન ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકે આગોતરા જામીનની અરજી કરી હતી. આ મામલે અદાલતનું કહેવું છે કે, તેમની ધરપકડ પર રોક લગાવવામાં નહીં આવે. આ મામલાની સુનવણી હજુ ચાલુ છે અને અદાલતે હરિયાણા સરકાર પાસે જવાબ માંગ્યો છે. પ્રદ્યુમ્ન હત્યા કેસનો મામલો દિવસે ને દિવસે વધુ ગુંચવાઇ રહ્યો છે, એવામાં રયાન સ્કૂલના માલિક પિંટો પરિવારને ધરપકડનો ડર પેસતાં તેમણે આગોતરા જામીન માટે અરજી કરી હતી.
આ પહેલા હરિયાણા હાઇકોર્ટના જજ જસ્ટિસ એ.બી.ચૌધરીએ પિંટો પરિવારની અરજી પર સુનવણી કરવાની મનાઇ કરતાં કહ્યું હતું કે, તેઓ પિંટો પરિવારને વ્યક્તિગત રીતે જાણતા હોવાથી તેઓ આ મામલે સુનવણી નહીં કરી શકે. ત્યાર બાદ આ કેસ બીજી બેંચને સોંપવામાં આવ્યો હતો. રયાન ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક રાયન પિંટો, ગ્રેસ પિંટો અને ઑગસ્ટિન પિંટોએ 16 સપ્ટેમ્બરના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ પહેલાં 14 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીનની અરજી ફગવાઇ હતી.