President Election: શરદ પવારે આજે બોલાવી વિપક્ષી દળોની બેઠક, ઓવૈસીને પણ આપ્યુ આમંત્રણ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીને રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા બોલાવ્યા છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીને રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા બોલાવ્યા છે. જે બાદ ઓવૈસીએ પાર્ટીના નેતા ઈમ્તિયાઝ જલીલને બેઠકમાં આવવા માટે કહ્યુ છે. AIMIM વતી નિવેદન જાહેર કરીને એવુ કહેવામાં આવ્યુ છે કે NCP ચીફ શરદ પવારે બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા આમંત્રણ આપ્યુ છે. ઓવૈસીએ આમંત્રણ માટે પવારનો આભાર માન્યો અને AIMIM વતી બેઠકમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરવા ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલને નિયુક્ત કર્યા.
તમને જણાવી દઈએ કે એનસીપીએ આજે બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. એનસીપી વતી એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 21 જૂને બપોરે 2.30 વાગ્યે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સંસદના કમિટી રૂમ-1માં યોજાશે. બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સ થશે.
આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પણ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવા જઈ રહી છે ત્યારે આજની બેઠકમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. ભાજપે પહેલેથી જ 14 સભ્યોની મેનેજમેન્ટ ટીમની રચના કરી છે જે રાષ્ટ્રપતિની ચૂંટણીની દેખરેખ રાખશે. જેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને કન્વીનર બનાવવામાં આવ્યા છે. અગાઉ અનેક વિપક્ષી દળોના નેતાઓએ શરદ પવારને વિપક્ષના સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની અપીલ કરી હતી પરંતુ પવારે ના પાડી દીધી હતી. મમતા બેનર્જીએ વિપક્ષની બેઠક પણ બોલાવી હતી જેમાં 17 પક્ષોએ ભાગ લીધો હતો. આ પછી મમતા બેનર્જીએ શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લા સાથે મળીને ગોપાલકૃષ્ણ ગાંધીનુ નામ આગળ કર્યુ હતુ પરંતુ ફારુક અબ્દુલ્લાએ પણ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
અરવિંદ કેજરીવાલે વિપક્ષની બેઠકમાં ભાગ લીધો ન હતો.વળી, ટીઆરએસ વડા ચંદ્રશેખર રાવ પણ બેઠકથી દૂર રહ્યા અને તેમણે તેમની પાર્ટીના કોઈ પ્રતિનિધિને પણ ન મોકલ્યા. આ બેઠકમાં કોંગ્રેસ સહિત 17 પક્ષોએ ભાગ લીધો હતો. ટીએમસી, સીપીઆઈ, આરએસપી, શિવસેના, આરજેડી, એસપી, એનસીપી, પીડીપી, જેડીએસ, ડીએમકે, આરએલડીએ બેઠકમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી આવતા મહિને 18 જુલાઈએ યોજાશે જ્યારે મતગણતરી 21 જુલાઈએ થશે.