Presidential election 2022: 'મારી વિરુદ્ધ મની પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો', યશવંત સિન્હાનો મોટો આરોપ
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યુ કે મારી વિરુદ્ધ મની પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે એટલે કે 18મી જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ અને વિપક્ષના યશવંત સિંહા મેદાનમાં છે. આ દરમિયાન વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યુ કે મારી વિરુદ્ધ મની પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
યશવંત સિંહાએ કહ્યુ કે હું માત્ર રાજકીય લડાઈ લડી રહ્યો નથી પરંતુ સરકારી એજન્સીઓ સામે પણ લડી રહ્યો છુ. તેઓ ખૂબ જ શક્તિશાળી બની ગયા છે. તેઓ પક્ષોને તોડી રહ્યા છે, લોકોને તેમના માટે મત આપવા દબાણ કરી રહ્યા છે. મારી સામે પણ મની પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચૂંટણી મહત્ત્વની છે કારણ કે આવનારા દિવસોમાં લોકશાહી ટકી રહેશે કે નહિ તે નક્કી થશે.
તમને જણાવી દઈએ કે દેશભરમાં લગભગ 4,800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ગુપ્ત મતદાન દ્વારા પોતાનો મત આપશે. 21 જુલાઈએ સંસદ ભવન ખાતે મતગણતરી થશે અને આગામી રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે. મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયુ હતુ અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એનડીએ તરફથી દ્રૌપદી મૂર્મુ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંન્હા વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થયા બાદ આ પદ માટે મેદાનમાં છે. જો કે આંકડા દ્રૌપદી મૂર્મુની તરફેણમાં છે.