પ્રિયંકા ગાંધીએ “કરો યા મરો”નું સૂત્ર આપી યુપીમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી!
યુપી વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશ ઇન-ચાર્જ પ્રિયંકા ગાંધી 14 નવેમ્બરના રોજ છોટી કાશી અનુપશહેર પહોંચ્યા હતા.
બુલંદશહેર, 14 નવેમ્બર : યુપી વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશ ઇન-ચાર્જ પ્રિયંકા ગાંધી 14 નવેમ્બરના રોજ છોટી કાશી અનુપશહેર પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ 'કૉંગ્રેસ પ્રતિજ્ઞા કોન્ફરન્સ-લક્ષ્ય 2022' પ્રોગ્રામને સંબોધન કરતી વખતે કરો યા મરોનું સૂત્ર આપ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'યુપીની પસંદગી કરો યા મરો.'
મંચ પરથી કાર્યકર્તાઓને સંબોધતા કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એકલા ચૂંટણી લડશે. અમે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ. તેમને કહ્યું કે, આપણે અહીં કોંગ્રેસને મજબૂત કરવા આવ્યા છીએ, કારણ કે કોંગ્રેસ આ દેશ માટે ઉભી છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન તીખા શબ્દોમાં કહ્યું કે, હવે સમય કરો યા મરોનો આવી ગયો છેે. હવે આપણે કંઈક એવું કરવાનું છે કે જેથી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો ધ્વજ લહેરાય.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને ચૂંટણી જીતવાનો મંત્ર પણ આપ્યો હતો. આ દરમિયાન બોલતા તેમને ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષી પાર્ટી એસપી અને બસપા પર પણ પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, નેહરુજીના ભારત માતા કી જયના નારામાં ખેડૂતો, મજૂરો, મહિલાઓ, મજૂરો, સૈનિકો અને દરેક દેશવાસી ની જય છે. ગાંધી, નેહરુ, પટેલ, આંબેડકર જેવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીનો અર્થ જાણતા હતા. તે સ્વતંત્રતાની કિંમત જાણતા હતા. જેમણે આઝાદી માટે લોહી અને પરસેવો નથી વહાવ્યો તે આઝાદીનો અર્થ સમજી શકતા નથી. તેથી જ ભાજપની નેતાગીરી સ્વતંત્રતાનું સન્માન કરતી નથી.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, દરેક કાર્યકર અને બૂથ લેવલ કમિટીની જવાબદારી હશે કે દરેક બૂથ પર પોતાની મજબૂત ટીમ બનાવે. દરેક બૂથની મતદાર યાદીની ચકાસણી કરો. તેમણે એમ પણ કહ્યું કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. આપણે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધામાં નંબર વન પર પહોંચવાનું છે. કોંગ્રેસનો પ્રચાર લોકોને દેખાવો જોઈએ. પ્રિયંકાએ કહ્યું કે લોકો અફવાઓ ફેલાવે છે. લોકો આપણી શ્રદ્ધા અને વફાદારી પર સવાલ ઉઠાવે છે. આપણી દેશભક્તિ પર ટોણા મારે છે, જ્યારે વર્તમાન સમયમાં કોંગ્રેસ દેશની સાચી પાર્ટી છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા ગઠબંધનની વાતો હતી.