રાઘવ ચઢ્ઢાએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન - ચારાની કમી અને દૂધની કિંમતો પર કંઈ કર્યુ નહિ
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દૂધના વધતા ભાવને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભાજપની એનડીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ.
ચંદીગઢઃ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દૂધના વધતા ભાવને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભાજપની એનડીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ અને કહ્યુ કે બે વર્ષ પહેલા આ વિશે જાણ હોવા છતાં સમસ્યા ઉકેલવામાં કેન્દ્રની નિષ્ફળતાના કારણે દૂધની કિંમતોમાં હજુ વધારો થવાની સંભાવના છે કારણકે ઘાસચારાની કિંમતો સાથે દૂધનો સીધો સંબંધ છે.
ટ્વીટ્સની એક શ્રૃંખલામાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે, 'દૂધની કિંમતો ફરીથી વધવા માટે તૈયાર છે? કારણ? 1. ઘાસચારાના ભાવમાં સતત વધારો 2. લમ્પી વાયરસના કારણે અમુક વર્ષોથી ખેડૂતો ચારાના બદલે અન્ય પાકો વાવવાનું પસંદ કરી રહ્યા છે. ઘાસચારાના ભાવ હવે ઓગસ્ટમાં 9 વર્ષના ઉચ્ચ સ્તરે 25.54% સુધી પહોંચી ગયા છે. એકલા ગુજરાતમાં, કે જે દૂધનુ સૌથી વધુ ઉત્પાદન કરે છે ત્યાં છેલ્લા બે વર્ષમાં ચારા પાક હેઠળનો વિસ્તાર 1.36 લાખ હેક્ટર ઘટ્યો છે.
રાધવ ચઢ્ઢાએ વધુમાં ઉમેર્યુ કે, કટોકટી ઉભી થવા છતાં હજુ સુધી એક પણ FPO નોંધાયેલ નથી. સરકાર વર્ષો પહેલા સંભવિત કટોકટીથી વાકેફ હતી પરંતુ કંઈ કર્યુ નહિ. માત્ર એક વર્ષમાં ઘાસચારાના ભાવ અને માંગ બંને ત્રણ ગણા વધી ગયા છે. ઉદાહરણ તરીકે, માત્ર રાજસ્થાન અને એમપીમાં જ ચારા(ભૂસા)ના ભાવ પ્રતિ ક્વિન્ટલ 400-600 રૂપિયાથી વધીને 1100-1700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.
તેમણે કહ્યુ કે લમ્પી વાયરસ અનિયંત્રિત રીતે ફેલાઈ રહ્યો છે અને ઘાસચારાની કિંમતો સતત વધી રહી છે પરંતુ સરકારે આ મુદ્દાઓને ઉકેલવા માટે કંઈ કર્યુ નથી. પરિણામે ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.