પંજાબમાં હવે કોઈ ગેંગસ્ટર 'આકા' નથી, હું 2.75 કરોડ વસ્તીની સુરક્ષાની ગેરેન્ટી લઉ છુઃ CM માન
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી બે ગેંગસ્ટરને પોલિસ અને સ્પેશિયલ કમાન્ડોએ ઠાર માર્યા છે. આ ઘટના પર પંજાબના સીએમ ભગવંત માનનુ નિવેદન આવ્યુ છે.
અમૃતસરઃ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી બે ગેંગસ્ટરને પોલિસ અને સ્પેશિયલ કમાન્ડોએ ઠાર માર્યા છે. તેમનુ એન્કાઉન્ટર લગભગ 4 કલાક ચાલ્યુ હતુ. આ દરમિયાન કેટલાક પોલિસકર્મીઓ સહિત એક પત્રકાર પણ ઘાયલ થયા હતા. જો કે, સારી વાત એ હતી કે જવાબી કાર્યવાહીમાં બંને ગુંડાઓ માર્યા ગયા હતા. આ ઘટના પર પંજાબના સીએમ ભગવંત માનનુ નિવેદન આવ્યુ છે.
આજે સીએમ ભગવંત માને કહ્યુ કે અમૃતસરના એક ગામમાં ગઈકાલે થયેલા એન્કાઉન્ટરનુ લાઈવ મીડિયા કવરેજ કરવામાં આવ્યુ હતુ. હું પંજાબના લોકોને ખાતરી આપવા માંગુ છુ કે અમારી સરકાર દરેક પંજાબીની સુરક્ષા કરશે. મારી સરકારમાં કોઈ ગેંગસ્ટર 'આકા' નહિ હોય. જે કોઈ ગુનો કરશે તેને સજા થશે. ગુંડાઓને બક્ષવામાં આવશે નહિ.
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી ગેંગસ્ટરોના એન્કાઉન્ટર પર સીએમએ કહ્યુ કે આપણા બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને હત્યારાઓને મારી નાખ્યા. હું જવાનોની હિંમતની પ્રશંસા કરુ છુ. આ એન્કાઉન્ટરને અંજામ આપનાર પુરુષ અને મહિલા પોલીસકર્મીઓને હું અભિનંદન આપુ છું. સાથે જ કહુ છુ કે હું 2.75 કરોડ (પંજાબની) વસ્તીની સુરક્ષાની ખાતરી આપુ છું. આ મારી જવાબદારી છે.
સીએમએ કહ્યુ, 'પોલિસ અધિકારીઓએ મને કહ્યુ કે ગઈકાલે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર શાર્પશૂટર હતા. પહેલા તેમની ઓળખ થઈ અને પછી એંટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે તેમનો પીછો કર્યો. તેમને અમૃતસરના એક ગામમાં ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેમને આત્મસમર્પણ કરવાનુ કહેવામાં આવ્યુ પરંતુ તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો. તેમની પાસે એકે-47 પણ હતી. અમારા જવાનો ખૂબ જ બહાદુરી સાથે તેમની સામે લડ્યા અને તેઓ અંતે માર્યા ગયા.