'AAP સરકાર પંચાયતી જમીનોને ગેરકાયદે કબ્જામાંથી છોડાવી રહી છે, હવે વેગ પકડશે અભિયાન'
પંજાબના ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતુ કે પંજાબમાં પંચાયતી જમીનોમાંથી ગેરકાયદે અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવશે
જલંધરઃ પંજાબના ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતુ કે પંજાબમાં પંચાયતી જમીનોમાંથી ગેરકાયદે અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવશે. તેઓ કુરાલિયા, ખાનેવાલ, મુકામ અને બાઠ ગામમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજયી બનાવવા બદલ લોકોનો આભાર માનતા હતા. જ્યાં તેમણે ગેરકાયદેસર કબ્જાને લગતા પ્રશ્નના જવાબ આપ્યા હતા.
'ગેરકાયદે કબ્જાને છોડાવવાનુ અભિયાન થશે તેજ'
પંજાબના ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યુ હતુ કે પંજાબમાં અગાઉની અકાલી અને કોંગ્રેસ સરકારોએ ગેરકાયદે અતિક્રમણને દૂર કરવા માટે કોઈ પગલાં લીધા નથી. તેમણે કહ્યુ કે વર્તમાન ભગવંત માન સરકાર દ્વારા પ્રભાવશાળી અને સફળ વી.આઈ.પી. લોકોના કબજામાં આવેલી સરકારી જમીનોને મુક્ત કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેબિનેટ મંત્રીએ કહ્યુ કે ભગવંત માન સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે અને તે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મંજૂરી આપશે નહિ. તેમણે કહ્યુ કે માન સરકાર ભ્રષ્ટાચારમાં કોઈ સમાધાન કરવાની નથી.
'જે વચને આપ્યા છે એ પૂરા કરવામાં આવશે'
મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યુ કે ભગવંત માન સરકાર દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે છેલ્લા 5 મહિના દરમિયાન ભ્રષ્ટાચારના અનેક કૌભાંડો પરથી પડદો હટાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આ અભિયાન ચાલુ રહેશે. પંજાબમાંથી ડ્રગ્સને ખતમ કરવુ એ ભગવંત માન સરકારના એજન્ડામાં ટોચ પર છે. ચૂંટણી દરમિયાન AAP દ્વારા આપવામાં આવેલા વચનો એક પછી એક પૂરા કરવામાં આવશે.
મનીષ સિસોદિયા સામે દ્વેષભાવથી કરાયો કેસ
ધાલીવાલે કહ્યુ કે કેન્દ્રની ભાજપ સરકાર રાજકીય દ્વેષભાવથી કામ કરી રહી છે. દિલ્લીના વરિષ્ઠ મંત્રી મનીષ સિસોદિયાને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સીબીઆઈ દ્વારા આ મામલામાં મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની પાછળ કેન્દ્રની મોદી સરકાર કામ કરી રહી છે.