કોગ્રેસના પત્ર પર CRPFનો જવાબ - 'રાહુલ ગાંધીએ ખુદ 113 વાર તોડ્યુ પ્રોટોકૉલ'
સીઆરપીએફના જણાવ્યા મુજબ 2020થી રાહુલ ગાંધીએ 113 વાર સુરક્ષા ઉલ્લંઘન કર્યુ છે.
કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. જેના પર હવે તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી સીઆરપીએફનો જવાબ આવ્યો છે. રાહુલ ગાંધીએ જ ખુદ ઘણી વાર નિર્ધારિત દિશાનિર્દેશોનુ ઉલ્લંઘન કર્યુ છે તેમ સીઆરપીએફે જણાવ્યુ હતુ. વળી, તેમણે કહ્યુ કે તેમને સમયે-સમયે આની જાણ પણ કરવામાં આવી. ભારત જોડો યાત્રા દરમિયાન પણ તેમની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી.
સીઆરપીએફના જણાવ્યા મુજબ 2020થી રાહુલ ગાંધીએ 113 વાર સુરક્ષા ઉલ્લંઘન કર્યુ છે. આ માટે તેમને જણાવવામાં પણ આવ્યુ હતુ. બીજી તરફ કોંગ્રેસે દિલ્લીમાં તેમની સુરક્ષામાં ચૂક થઈ હોવાની વાત કરી છે. જેના પર સીઆરપીએફે કહ્યુ કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા માટે દિલ્લી પહોંચ્યા પછી પણ માર્ગદર્શિકાનુ ઉલ્લંઘન કર્યુ. સીઆરપીએફ આ મામલાને અલગથી ઉઠાવશે.
કેન્દ્રીય દળના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પણ કોઈ સંરક્ષિત વ્યક્તિ રાજ્યની મુલાકાત લે છે ત્યારે CRPF રાજ્ય પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને તેમને સુરક્ષા પૂરી પાડે છે. રાહુલ ગાંધીનુ પણ એવુ જ છે. આ ઉપરાંત પ્રોટોકૉલ મુજબ તેમની મુલાકાત પહેલા એડવાન્સ સિક્યોરિટી કૉન્ટેક્ટ (ASL) પણ કરવામાં આવે છે.
સીઆરપીએફના જણાવ્યા મુજબ ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્લી પહોંચી હતી, તે પહેલા 22 ડિસેમ્બરે સીઆરપીએફની સાથે તમામ એજન્સીઓએ તૈયારીઓ કરી લીધી હતી. જેના પર દિલ્લી પોલીસે પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે રાહુલની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે જ્યારે ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી ત્યારે કોંગ્રેસ નેતાની સુરક્ષામાં અનેક વખત ભંગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ ન હતી, તેથી તેમના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન કરી હતી, તેથી CRPFએ તેમની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. કોંગ્રેસનો આરોપ છે કે રાહુલને મળવા જઈ રહેલા લોકોને ડરાવવા માટે આઈબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.