વરૂણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવા અંગે રાહુલ ગાંધીએ આપ્યો જવાબ, તે મારો ભાઇ છે, તેને ગળે લગાવી શકું છું, પણ...
Bharat Jodo Yatra : રાહુલ ગાંધીએ પ્રસ કોંન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વરુણ ગાંધી ભાજપમાં છે અને મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારા પરિવારની એક વિચારધારા છે.
Bharat Jodo Yatra : પંજાબના હોશિયારપૂરમાં ભારત જોડો યાત્રા દરમિયાન મંગળવારના રોજ રાહુલ ગાંધીએ એક પ્રસ કોંન્ફરન્સ યોજી હતી. જેમાં વરૂણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવા અંગેની અફવા વચ્ચે રાહુલ ગાંધીએ મોટુ નિવેદન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ વરૂણ ગાંધી અંગે પૂછવામાં આવેલા જવાબમાં જણાવ્યું હતું કે, વરૂણ ગાંધી મારો ભાઇ છે, તેને હું ગળે લગાવી શકું છું, પણ તેની વિચારધારા સ્વીકાર કરી શકતો નથી.
હોશિયારપુરમાં યોજેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, વરુણ ગાંધી ભાજપમાં છે અને મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી.
મારા પરિવારની એક વિચારધારા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરુણ ગાંધીએ તે વિચારધારાને પોતાની બનાવી હતી. હું વરુણને ગળે લગાવી શકું છું, પણ એ વિચારધારાને સ્વીકારી શકતો નથી.
રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય આરએસએસ ઓફિસમાં જઈ શકે નહીં. તેના માટે તમારે પહેલા મારું ગળું કાપવું પડશે.
આ સાથે ભારત જોડો યાત્રા દરમિયાન એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીને મળવા ગયો હતો. આ એપિસોડ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં કોઈ ખામી નથી. ઘણીવાર આવી ઘટનાઓ ઉત્સાહને કારણે બન જતી હોય છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપ ભારતની તમામ સંસ્થાઓને નિયંત્રિત કરી રહ્યાં છે. તમામ સંસ્થાઓ પર તેમનું દબાણ છે. તેઓએ ચૂંટણી પંચ, અમલદારશાહી, ન્યાયતંત્ર પર કબ્જો કરી લીધો છે. આ રાજકીય લડાઈ રહી નથી, જે ભૂતકાળમાં થતી હતી. હવે લડાઈ ભારતની સંસ્થાઓ અને વિપક્ષો વચ્ચેની છે.
એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, ધારો કે કોંગ્રેસ સત્તામાં આવે અને તમે વડાપ્રધાન બનો, તો શું તમે જેને ગોદી મીડિયા કહો છો, તેના પર રોક લગાવશો? શું તમે પણ તેને તમારા ગુલામ બનાવશો? આના પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય 'ગોદી મીડિયા' કહ્યું નથી. આ મારું વાક્ય નથી. મારે કહેવું જોઈએ કે, મીડિયા નિયંત્રિત છે. હું તમારી ટીકા કરતો નથી. કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વતંત્ર મીડિયાની વિચારધારા છે.
રાહુલ ગાંધીએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, મીડિયાને ગુલામ બનાવવાની શક્તિ અમારી પાસે નથી. જે મીડિયા નફરત ફેલાવે છે, આજે મીડિયા ધ્યાન હટાવવાની ભૂમિકા ભજવી રહ્યું છે. પિકપોકેટ આવે, ત્યારે તે એકલો આવતો નથી. તેઓ ચાર-પાંચ આવે છે, પછી ધ્યાન હટાવીને ખિસ્સું કાપવામાં આવે છે. આ તમે નથી, પણ તમારૂ સ્ટ્રકચર છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તમે લોકો હિન્દુ મુસ્લિમ કહો છો, ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, બોલીવુડ અને તેંડુલકરને જુઓ છો, પણ અહીં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, નાના વેપારીઓ મારી રહ્યા છે, અમે મૂકેલા આંકડાઓ પર તમે એક પ્રશ્ન પણ પૂછ્યો નથી. શાહરૂખ ખાન કરતા આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આવા પ્રશ્નો પૂછવા જોઈએ. આ મુદ્દે વાત કરવી જોઈએ.