કોંગ્રેસ ચિંતન શિબિર વચ્ચે રાહુલ ગાંધીની પ્રદેશ અધ્યક્ષો, પ્રભારીઓ સાથે બેઠક
કોંગ્રેસ ચિંતન શિબિર વચ્ચે રાહુલ ગાંધીએ પ્રદેશ અધ્યક્ષો અને પ્રભારીઓ સાથે બેઠક કરી.
નવી દિલ્લીઃ ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિર વચ્ચે ક્યાંકને ક્યાંક રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ પણ ઉઠી રહી છે. વળી, રાહુલ ગાંધીએ આજે એક મોટી બેઠક બોલાવી છે. બધા મહાસચિવ, પ્રદેશ અધ્યક્ષો અને ધારાસભ્ય દળના નેતાઓ સાથે આ બેઠક થશે જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરની બીજા દિવસે આંતરિક ચર્ચાઓનો દોર ચાલુ રહેશે અને શનિવારની સવારે પી ચિદમ્બરમે દેશની આર્થિક સ્થિતિ પર અમુક વાતો શેર કરી છે.
ત્યારબાદ ખેડૂતોના મુદ્દે ભૂપિન્દર સિંહ હુડ્ડા અને સામાજિક ન્યાય પર સલમાન ખુર્શીદ અલગ-અલગ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના રોડ મેપ વિશે માહિતી આપશે. કોંગ્રેસ ચિંતન શિબિર યોજીને પક્ષને મજબૂત કરવા પરિવર્તન અંગે મંથન કરી રહી છે. શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસે યુવાનો, તેમની નોકરીની હક અને એક પરિવાર એક ટિકિટ વિશે વાત કરી હતી. તે જ સમયે, કોંગ્રેસ ફેરફારો દ્વારા પાર્ટીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ આગેવાનોએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કોંગ્રેસ સરકારે દેશને શિક્ષણનો અધિકાર, ખોરાકનો અધિકાર અને યોગ્ય માહિતીનો અધિકાર આપ્યો છે. તેથી હવે કોંગ્રેસ પક્ષ યુવાનોને નોકરીનો અધિકાર અપાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવશે અને કેન્દ્ર સરકાર પર દબાણ આવશે.
આ અગાઉ, કોંગ્રેસે એક પરિવાર-એક ટિકિટની દરખાસ્ત પર ગંભીર મંથન કર્યું હતુ અને કોંગ્રેસના તમામ નેતાઓ આ પ્રસ્તાવ પર સંમત હોવાનું જણાય છે. આ દરખાસ્ત હેઠળ જો અન્ય કોઈ સભ્યને ચૂંટણી લડવા માટે ટિકિટ જોઈતી હોય તો તેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ પાર્ટી સંગઠનમાં કામ કર્યું હોવું જોઈએ. કોંગ્રેસ ચિંતન શિબિરમાં 400થી વધુ વરિષ્ઠ નેતાઓએ જુદા જુદા જૂથો બનાવ્યા અને પક્ષના આંતરિક મુદ્દાઓથી લઈને દેશની આર્થિક સ્થિતિ સુધીના સામાજિક મુદ્દાઓ પર મંથન કરી રહ્યા છે.