રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું - જે લોકો બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ઇચ્છે છે, તેઓ જ ભેદભાવ કરે છે
રાહુલ ગાંધી તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં 3 દિવસ વિતાવશે. આ પ્રવાસ દરમિયાન 17 ઓગસ્ટના રોજ રાહુલ કાલપેટ્ટા જિલ્લા કલેક્ટરને મળશે. જે બાદ તેમને કરસેરી ખાતે પંચાયત કિસાન દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
વાયનાડ : જમ્મુ કાશ્મીરથી પરત આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સોમવારના રોજ કેરળ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં 3 દિવસ વિતાવશે. આ પ્રવાસ દરમિયાન 17 ઓગસ્ટના રોજ રાહુલ કાલપેટ્ટા જિલ્લા કલેક્ટરને મળશે. જે બાદ તેમને કરસેરી ખાતે પંચાયત કિસાન દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ રાહુલ ગાંધીની મુલાકાતને પગલે સક્રિય થયા છે. પ્રવાસના પહેલા દિવસે રાહુલે માનથાવડીના ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આ દરમિયાન લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે , મહાત્મા ગાંધીની સૌથી શક્તિશાળી બાબત એ હતી કે તેમણે જે પણ કહ્યું, તેનો અમલ કર્યો છે. જો તેમણે કહ્યું કે, ભારત સહિષ્ણુ દેશ હોવો જોઈએ તો તેમણે સહિષ્ણુતાપૂર્વક વર્તન કર્યું હતું. જો તેમણે કહ્યું કે ભારતે મહિલાઓનું સન્માન કરવું જોઈએ, તો તેમણે મહિલાઓનું સન્માન કર્યું હતું.
રાહુલ ગાધીએ વધુમાં કહ્યું કે, આજે હું આવા ઘણા લોકોને ઓળખું છું, જેઓ કહે છે કે તેઓ એક એવો દેશ ઇચ્છે છે જે ન્યાયી હોય, પરંતુ તેઓ પોતે અન્યો સાથે અન્યાય કરે છે. તેઓ કહે છે કે, તેઓ એવું ભારત ઈચ્છે છે જે મહિલાઓનું સન્માન કરે, પરંતુ મહિલાઓનું જ અપમાન કરે છે. તેઓ કહે છે કે તેઓ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઈચ્છે છે પરંતુ તેઓ પોતે ધર્મોને અલગ રીતે જુએ છે. રાહુલના મતે દરેક વ્યક્તિએ આવુ કરવાથી દૂર રહેવું જોઈએ.
પીવાના પાણી યોજનાનું ઉદ્ઘાટન
રાહુલ ગાંધીએ વાયનાડમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. રાહુલ ગાંધી કહ્યું કે, અહીં 42 પરિવારો લાંબા સમયથી પીવાના પાણી માટે તરસી રહ્યા હતા. આજે હું ખુશ છું કે, આ પરિવારોને સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) દ્વારા પીવાનું પાણી મળશે. આ સાથે રાહુલ ગાંધીએ ખાતરી આપી હતી કે, તેઓ વિસ્તારના વિકાસ માટે તમામ શક્ય પગલાં લેશે.