Video: રાજસ્થાનના નામચીન ગેંગસ્ટર રાજૂ ઠેહટની ગોળી મારીને હત્યા, જાણો કોણે લીધી જવાબદારી
ગેંગસ્ટર રાજૂ ઠેહટની શનિવારે સવારે 9 વાગે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
Rajasthan Gangster Raju Thehat: રાજસ્થાનના સીકર જિલ્લામાં 3 ડિસેમ્બરે ફરીથી ગેંગવૉર થયુ છે. આ વખતે ગેંગસ્ટર રાજૂ ઠેહટની શનિવારે સવારે 9 વાગે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બદમાશોએ રાજૂ ઠેહટના ઘર પાસે જ ઘટનાને અંજામ આપ્યો અને પછી ભાગી ગયા. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ચાર બદમાશો ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે.
'આજે આનંદપાલ અને બલબીરની હત્યાનો બદલો પૂરો થયો'
સૂત્રોના જણાવ્યા મુજબ રાજુ ઠેહટની પહેલા આનંદપાલ ગેંગ સાથે ભૂતકાળમાં દુશ્મની હતી. હાલમાં આનંદપાલ ગેંગ અને લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરી રહી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગે રાજુ ઠેહટની હત્યાની જવાબદારી લીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રોહિત ગોદારાએ લખ્યુ છે કે 'આજે આનંદપાલ અને બલબીરની હત્યાનો બદલો પૂરો થયો છે. નોંધનીય છે કે સીકર જિલ્લાના ઠેહટ ગામના રહેવાસી રાજૂ ઠેહટ અને વર્ષ 2017માં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર આનંદપાલ સિંહ વચ્ચે લાંબા સમયથી દુશ્મની હતી. બંને ગેંગ એકબીજાના લોહીના તરસ્યા હતા. રાજૂ ઠેહટ થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.
રાજૂ ઠેહટ હત્યાની પુષ્ટિ
સીકર એસપી કુંવર રાષ્ટ્રદીપે રાજૂ ઠેહટ હત્યાની પુષ્ટિ કરી છે. સીકર એસપીએ જણાવ્યુ કે રાજૂ ઠેહટના શૂટિંગમાં ચાર લોકો સામેલ હતા. ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે. ફૂટેજ સૂચવે છે કે હુમલાખોરોમાંથી એક સંભવતઃ રાજૂને ઓળખતો હતો કારણ કે તે એની સાથે વાત કરતો રેકોર્ડ થયો છે.
બદમાશોએ કુલ 50-60 રાઉન્ડ ફાયરિંગ કર્યુ
ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી રહેલા બદમાશોએ રસ્તામાં બે લોકોને પણ ગોળી મારી દીધી હતી. જેમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ જ્યારે એક ઘાયલ થયો હતો. બદમાશોએ કુલ 50-60 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. મળતી માહિતી મુજબ ગેંગસ્ટર રાજૂ ઠેહટનુ ઘર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરાલી રોડ પર છે. રાજૂ ઠેહટ આજે સવારે ઘરેથી નીકળ્યો હતો. અગાઉથી ઘાત લગાવીને બેઠેલા અજાણ્યા લોકોએ તેને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપીને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો રાજૂને હૉસ્પિટલ લઈ ગયા પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.
|
સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી
ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. રાજૂ ઠેહટ પર ગોળીબારની માહિતી મળ્યા બાદ સીકરના પોલીસ અધિક્ષક કુંવર રાષ્ટ્રદીપ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘટનાની જાણકારી લીધી. એસપીએ જણાવ્યુ કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બદમાશોને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. બદમાશો ભાગી ન જાય તે માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી છે. ટૂંક સમયમાં બદમાશો ઝડપાઈ જશે.