રેપ કેસના ચુકાદા પહેલા જ પંચકુલામાં સ્થિતિ ભરેલા અગ્નિ જેવી
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર લાગેલા બળાત્કારના આરોપોનો ચુકાદો શુક્રવારે આવશે. પણ તે પહેલા પંચકુલા અને ચંદીગઢમાં તેમના સમર્થકો દ્વારા ભરેલા અગ્નિ જેેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે.
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર સાધ્વી સાથે બળાત્કાર કરવાના આરોપ મામલે સીબીઆઇની વિશેષ અદાલત 25મી ઓગસ્ટ એટલે કે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવશે. પણ આ પહેલા જ ચંદીગઢ સમેત હરિણાયામાં પણ સ્થિતિ ભરેલા અગ્નિ જેવી છે. કોર્ટેનો જે પણ નિર્ણય આવે પણ તે પહેલા ગુરુમીત રામ રહીમ સિંહના 1.5 લાખ સમર્થકો તેમના પંચકુલા ખાતેના આશ્રમ પાસે એકઠા થવા લાગ્યા છે. વળી પ્રશાસને પણ કોઇ પણ અપ્રિય સ્થિતિ ના સર્જાય તે માટે સ્કૂલો, કોલેજોને આજથી રજા આપી દીધી છે. અને દુકાનો અને અન્ય વ્યવસાય પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
પંચકુલા અને ચંદીગઢ બન્નેમાં સ્થિતિ હાલ ખૂબ જ ગંભીર છે. સાથે જ અર્ધસૈનિક બળની લગભગ 10 કંપનીઓ હાલ ચંદીગઢ અને પંચકુલામાં હાજર છે. સાથે જ રેપિડ એક્શન ફોર્સ અને કેન્દ્રીય રિર્ઝવ પોલીસ દળની 6 ટુકડી અને 2 ઇન્ડો તિબ્બતી સીમા પોલીસની ટુકડી અને સીઆરપીએફની ટુકડીઓ પણ હાજર છે. આ પોલીસદળમાં મોટી સંખ્યામાં મહિલા અધિકારીઓને પણ હાજર રાખવામાં આવી છે. એટલું નહીં ખાલી ચંદીગઢમાં જ 6 હજાર જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. જેથી પરિસ્થિતિ વણસતા ત્વરિત પોલીસ દળ દ્વારા તેની પર કાબુ મેળવી શકાય.