કૃષિ કાયદા રદ કરવાથી ઉકેલ નહીં, અમને MSPની જરૂર-રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત તેલંગાણા પહોંચ્યા હતા. અહીં રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવા પર નિવેદન આપ્યું હતું.
હૈદરાબાદ : ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત તેલંગાણા પહોંચ્યા હતા. અહીં રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવા પર નિવેદન આપ્યું હતું. રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે તેના કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે, પરંતુ તે અમારો ઉકેલ નથી. તેલંગાણામાં ટિકૈતે કહ્યું કે, દેશમાં ખેડૂતોની સમસ્યા ત્યાંની ત્યાં છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાત નહીં કરે અને MSP પર કાયદો નહીં લાવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત આંદોલનકારીઓ વતી અમે સરકાર સમક્ષ માંગણીઓ મૂકી છે. તે માંગણીઓ પૂરી કરવા માટે અમે સરકારને 26 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. અમારું આંદોલન ખાલી નહીં રહે, આગામી 29 નવેમ્બરે અમે ખેડૂત ભાઈઓ સાથે 60 ટ્રેક્ટર સાથે સંસદ ભવન તરફ કૂચ કરીશું.
જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે સરકારે કાયદાઓ પાછા ખેંચી લીધા છે, ત્યારે તેમણે કહ્યું કે, હા... સરકારે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેનાથી અમારો ઉકેલ આવશે નહીં. અમારો ઉકેલ એમએસપીની ગેરંટી મેળવવા પર રહેશે. સરકારે ખેડૂતો સાથે વાત કરવી પડશે.
પત્રકારો સાથે વાત કરતા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ખેડૂત સંગઠનોના ભારત બંધ વિશે કહ્યું કે અમારૂ ભારત બંધ સફળ રહ્યું. તેમણે કહ્યું કે અમને ખેડૂતોનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. ટિકૈતે કહ્યું કે, અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે સરકારે મંત્રણા કરવી જોઈએ.. અમે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ કોઈ વાતચીત થઈ રહી નથી.